અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામનો મહિમા રામલલાના ભક્તોમાં વ્યાપક જોવા મળી રહ્યો છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વાપી તેમજ વલસાડ શહેરમાં આવતીકાલે બુધવારે રામ નવમીના પવિત્ર શુભ દિને ભવ્ય શોભાયાત્રાઓ વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા નિકળવાની છે.
ગત તા.22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્રજન જન સમાજમાં રામનો મહિમા વધી ચૂક્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ રામ નવમી આવી રહી હોવાથી વાપી-વલસાડમાં ભવ્ય શોભાયાત્રા કાઢવાના આયોજન થઈ ચૂક્યા છે. બન્ને શહેરોમાં તોરણ તેમજ ઠેર ઠેર ગેટ ઉભા કરવામાં આવ્યા છે. રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામ નવમીના અવસરે શોભાયાત્રા નિકળનાર છે. શોભાયાત્રામાં હજારો રામભક્તો શણગારેલા વાહનો દ્વારા જોડાશે. યાત્રાનું શહેરમાં ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવનાર છે. વલસાડ જિલ્લામાં રામ નવમીને ભવ્ય ઉજવણી કરવાનો રામ ભક્તોમાં થનગનાટ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે.
વાપીમાં શોભાયાત્રામાં વલ્લભનગર ગ્રાઉન્ડ છીરીથી નિકળશે. અંબામાતા સર્કલ, જ્ઞાનધામ સ્કૂલ થઈ, ઉમિયા સર્કલ, વંદે માતરમ ચોક ગુંજન, પ્રાઈમ સર્કલ થઈ મોરારજી દેસાઈ સર્કલથી રામલીલા મેદાનમાં પહોંચશે. જ્યાં મહા આરતી સાથે શોભાયાત્રાનું સમાપન થશે.