ખાણ-ખનીજ વિભાગના આશીર્વાદથી તળાવમાં 10 હજાર ટન માટી કાઢવાની પરમીશન સામે લાખ ટન માટી વગે થઈ ગઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વાપી નજીક આવેલ વલવાડા-કરમબેલા ગામે તળાવ ઊંડુ કરવાની કામગીરીમાં એક લાખ ટનથી વધુ માટી ભુમાફીયાઓએ બિલ્ડરોને વેચી માર્યાનો આક્ષેપ ગ્રામજનોએ કરતા ચકચાર મચી જવા પામી છે.
વલવાડા ગામે બે સુંદર તળાવ આવેલા છે. તળાવમાં પાણીનો સંગ્રહ થાય તે માટે એક એજન્સી તળાવમાંથી 10 હજાર ટન માટી કાઢવાની કામગીરી લીધી હતી. બે તળાવ પૈકી કરમબેલાનું તળાવ ઊંડુ કરવાની કામગીરીમાં 10 હજાર ટન માટી કાઢવાની જગ્યાએ એકાદ લાખ ટન માટી ભૂમાફીયાઓએ કાઢીને બિલ્ડરોને પધરાવી દીધાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ કામગીરીમાં કહેવાય છે કે ખાણ-ખનીજ વિભાગ સાથે ભૂમાફીયાઓ સેટીંગ કરી તળાવ ખોદીઅન્ય જગ્યાએ માટીનો સંગ્રહ કર્યા પછી બિલ્ડરોને વેચી મારવામાં આવતી હતી. અધિકારીઓને લાખો રૂપિયા આપી મામલો ફે દફે થતો રહ્યો હતો. તળાવની ઊંડાઈ એટલી બધી વધારે થઈ ગઈ હોવાથી આસપાસના ભૂગર્ભ જળ વાડીઓ-કુવાના પાણી ફંટાઈ જતા તળાવમાં પાણી ભરાઈ ગયું છે. બીજી તરફ કુવા સુકાઈ ચૂ્ક્યા છે. ભૂમાફીયા અનેક ગુનામાં સંડોવાયેલ હોવાથી ગ્રામજનો ડરી રહ્યા છે. વિરોધ કરવાની ક્ષમતા ગ્રામજનોમાં નથી. બીજી ઘટના એ છે કે માથાભારે બિલ્ડરે ગ્રામજનોને સાથે રાખી 12 ફૂટના રસ્તાને 40 ફૂટ બનાવવા પણ પુરાણ કરવામાં આવ્યું છે. મામલો ઉચ્ચ સ્તરે પહોંચેલો છે. પૈસાની વગ આધિન વહિવટી તંત્ર ચૂપ રહ્યાનું કહેવાય છે.