વાપી કબ્રસ્તાન રોડના આજુબાજુ આવેલ બિરીયાની તથા ચિકન-મટનની દુકાનોમાંથી ફેંકાતા એંઠવાડને ખાવા માટે આવતા રખડતા કૂતરાઓના કારણે રાત્રિના સમયે ભયાનક બનતી સ્થિતિ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપીના કબ્રસ્તાન રોડ ખાતે રખડતા કૂતરાઓનો ત્રાસ રાત્રિના સમયે નોકરી કરી પરત ફરતા કામદારો માટે ખુબ જ ચિંતાજનક બની ગયો છે. વાપી નગરપાલિકાએ રખડતા કૂતરાઓને અંકુશમાં લેવા માટે કોઈ ચાંપતા પગલાં ભરવા જોઈએ એવી માંગણી પણ બુલંદ બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વાપીના કબ્રસ્તાન રોડથી બલીઠા દાંડીવાડ તથા ફાટક સુધી જવાનો મુખ્ય માર્ગ હોવાથી રાત્રે પોતાની ફરજ બજાવી આવતા કામદારો અને શ્રમજીવીઓને પોતાના ટુ વ્હીલર ઉપર ઘરે જતા સમયે કૂતરાઓ આસપાસ ફરી વળતા હોવાથી મોટો અકસ્માત થવાની સંભાવના રહે છે. આ રોડ ઉપર આવેલ બિરીયાની તથા ચિકન-મટનની દુકાનમાંથી ફેંકવામાં આવતા એંઠવાડના કારણે કૂતરાઓનો મેળો રાત્રિના સમયે જામતો હોય છે. આ બાબતે પણ નગરપાલિકાએ ધ્યાન આપવાની જરૂરીયાત જોવાઈ રહી છે.