બાગાયત વિભાગની કચેરીએ 11 ગામોમાં 99 ખેડૂતોની વાડીમાં સર્વે કામગીરી પુરી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લામાં ગયા સપ્તાહે કમોસમી વરસાદ થતા કરા પડયા હતા. તેથી કેરીના પાકને વ્યાપક નુકશાન થયું હતું. ખેડૂતો માટે કેરી એક માત્ર આવકનું સાધન હોવાથી હવામાનને કેરીના પાકને ભારે નુકશાન કર્યું હતું તેથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકશાનની માંગણી કરી હતી તેથી વલસાડ બાગાયતવિભાગ દ્વારા ધરમપુર-કપરાડા વિસ્તારની વાડીઓમાં સર્વે પુરો કરી રિપોર્ટ સરકારને મોકલી અપાયેલ છે તેથી ખેડૂતોને નુકશાન અંગે વળતર મળશે તેવા સંકેતો સાંપડયા છે.
ધરમપુર-કપરાડા વિસ્તારમાં ગયા સપ્તાહે એકાએક હવામાન બદલાયું હતું. જેને લઈને કમોસમી વરસાદ અને કરા અનેક ગામોમાં પડયા હતા તેથી કેરીના પાકને વ્યાપક નુકશાન થયું હતું. તેથી ખેડૂતોએ વળતર અંગે સરકારમાં માંગણી કરી હતી તે મુજબ બાગાયત કચેરી વલસાડે ધરમપુરના 7 ગામ અને કપરાડાના પાંચ ગામ મળી કુલ 11 ગામોમાં 45 હેક્ટરની વાડીઓમાં સર્વે કામગીરી પુરી કરી છે. જેનો જરૂરી રિપોર્ટ સરકારમાં મોકલી અપાયેલ છે. તેથી આગામી સમયે કેરી પકવતા ખેડૂતોને વળતર મળે એવી શક્યતાઓ જણાઈ રહી છે. વલસાડ જિલ્લામાં હજારો ખેડૂતો માટે કેરી પાક એકમાત્ર આવકનું સાધન હોવાથી સરકારે આ બાબત પણ લક્ષમાં લઈ જરૂરી તજવીજ હાથ ધરી હતી.