પ્રદેશના સંસદ સભ્યો પાસે કેટલી અને કેવી સત્તા..?: ચૂંટણી દરમિયાન આપેલા વાયદાઓ ચૂંટાયેલા ઉમેદવારો કેવી રીતે પૂર્ણ કરી શકશે?
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિત તમામ લોકસભા બેઠકોના પરિણામ 4થી જૂને જાહેર થવાના છે. દેશની સૌથી મોટી કાયદા ઘડનારી પંચાયતના સભ્ય બનવાનું બહુમાન કોને મળે તે બાબતે અત્યારે અટકળોનું બજાર ગરમ છે. ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિત દેશના કેન્દ્ર શાસિત પ્રદેશોના ભાગ્ય વિધાતા કોને ગણવા તે બાબતે આજે જાણવાનો પ્રયાસ કરીએ છીએ.
જ્યાં વિધાનસભા નથી તેવા દેશના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા રાષ્ટ્રપતિ શાસનની હકૂમત હેઠળ આવતા હોય છે. દેશનું વિધાયક મંડળ પણ રાષ્ટ્રપતિના નામ હેઠળ દેશનો વહીવટ કરે છે, પરંતુ વહીવટી વડા પ્રધાનમંત્રી હોય છે. તે રીતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વહીવટ થતો હોય છે. પરંતુ વિધાનસભા બર્ખાસ્ત કરવામાં આવે અને રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવે ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ દ્વારા સંભાળવામાં આવે છે.
વિધાનસભા નહીં ધરાવતા દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો સીધારાષ્ટ્રપતિ શાસન અંતર્ગત હોવાથી રાષ્ટ્રપતિના દૂત તરીકે ઉપ રાજ્યપાલ અથવા પ્રશાસક વહીવટી વડા તરીકે પ્રદેશનું સંચાલન કરતા હોય છે.
સંસદ સભ્યો પાસે પોતાના વિસ્તારની સમસ્યા, જરૂરિયાતો, ઉણપો વગેરે સંસદમાં રજૂ કરવાની સ્વતંત્રતા હોય છે. આ રજૂઆતો ઉપર પગલાં લેવાનો અબાધિત અધિકાર દેશના પ્રધાનમંડળ પાસે હોય છે અને પ્રધાનમંડળના વડા તરીકે પ્રધાનમંત્રી જે તે સાંસદની રજૂઆતની યોગ્યતા જોઈ-તપાસી નિર્ણય લેતા હોય છે.
હવે પ્રશ્ન એ ઉઠે છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન લગભગ દરેક ઉમેદવારોએ આપેલા વચનો તેઓ કેવી રીતે પૂર્ણ કરી શકશે? કેન્દ્રમાં જે પક્ષની સરકાર સ્થપાશે તેની સામે તે પક્ષનો સાંસદ પોતાના ચૂંટણી ઢંઢેરા કે ગેરંટી પત્રમાં આપેલા વાયદાઓ પ્રધાનમંડળ સમક્ષ રજૂ કરી તેના ઉકેલ માટેના પ્રયાસો કરશે. આ વાયદાઓ સરકારની નીતિ-નિયમો મુજબ યોગ્ય જણાશે તો તેને પૂર્ણ કરવા પ્રદેશના વડાને નિર્દેશ આપવામાં આવશે અને કેટલાક વાયદાઓ સ્થાનિક સ્તરે પ્રશાસકશ્રી કે જિલ્લા કલેક્ટરના સ્તરે ઉકેલ આવી શકતો હોય તો તાત્કાલિક તેનું નિરાકરણ પણ સંભવી શકે છે. આ તમામ સંભાવનાઓ માટે કેન્દ્રમાં કોની સરકાર બને છે અને પ્રદેશમાં કયા પક્ષનો સાંસદ ચૂંટાઈ છે તેના ઉપર ખાસ નિર્ભર રહેશે.
બીજી બાજુ જો કોઈપ્રદેશમાં અપક્ષ સાંસદ વિજેતા બને અને કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની સરકારનું ગઠન થયું તો તેમના દ્વારા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા વાયદાઓ પૂર્ણ કરવા ઘણી મહેનત કરવી પડશે. કારણ કે, બહુમતિ ધરાવતી સરકાર અપક્ષ સાંસદોને બહુ મહત્વ નહીં આપે તે સ્વભાવિક છે. જ્યારે કેન્દ્રમાં લઘુમતિ સરકારનું ગઠન સંભવ થયું તો અપક્ષ તરીકે ચૂંટાયેલા સાંસદશ્રીને મોટી લોટરી લાગી શકે છે અને તેઓ પોતાની રીતે ‘ભાવ-તાલ’ કરી પોતાની માંગણીઓ પણ સંતોષી શકે છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલીમાં ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરનું પલ્લુ ભારે છે, તેઓ લગભગ સરળતાથી વિજેતા બને એવા સંકેતો મળી રહ્યા છે. જ્યારે લોકસભાની દમણ અને દીવ બેઠકમાં પ્રવાહી સ્થિતિ છે. ભાજપના શ્રી લાલુભાઈ પટેલ, કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ અને અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ વચ્ચે કાંટાની ટક્કર હોવાનું માનવામાં આવે છે. જેમાં અપક્ષ અને કોંગ્રેસ એકબીજાના કેટલા મતો ખેંચે તેના ઉપર આ ચૂંટણીના પરિણામનો આધાર રહેશે એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.
આવતા અંકોમાં વાંચોઃ જો દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાષ્ટ્રપતિનું શાસન હોય તો ભૂતકાળમાં પૂર્વ સાંસદ સ્વ. મોહનભાઈ ડેલકર અને સ્વ. ડાહ્યાભાઈ પટેલે કેવી રીતેવગાડયો હતો પોતાનો ડંકો…? (ક્રમશઃ)