માજી કોર્પોરેટર ઉમેશ પટેલ, યક્ષેષ માળી, ઉર્વશી પટેલ, સોનલ પટેલએ રજૂઆત કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વલસાડ શહેરને મહાનગર પાલિકા જાહેર કરવા માટે માજી કોર્પોરેટરોએ કલેક્ટરને લેખિત રજૂઆત આજે કરી હતી. વિવિધ 15 જેટલા ગામોને એકત્રિત કરાય તો 3.08 લાખની વસ્તી થઈ જાય છે.
માજી કોર્પોરેટર ઉમેશ પટેલ, યક્ષેષ માળી, ઉર્વશી પટેલ તથા સોનલ પટેલએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી વલસાડને મહાનગર પાલિકા બનાવવાની માંગણી કરી છે. વલસાડ લગોલગ આવેલી 15 ગામ ભાગડાવાડા, નનકવાડા, તિથલ, કોસંબા, વશીયર, પારનેરા, પારનેરા પારડી, અતુલ, પારડી સાંઢપોર, ગુંદલાવ, ધમડાચી, વેજલપુર જેવા 15 જેટલા ગામોને એકીકરણ કરાય તો વસ્તી 3.08 લાખ જેટલી થઈ જાય છે તેથી વલસાડને મહાનગર પાલિકાનો દરજ્જો મળી શકે એમ છે. અથવા ચાર નવી પાલિકા પણ બનાવી શકાય છે. ગુંદલાવ જીઆઈડીસી ઔદ્યોગિક દૃષ્ટિએ હરણફાળ ભરી રહેલ છે. આજુબાજુના અનેક રેસિડેન્સિયલ સ્કીમ ડેવલોપ થઈ રહી છે. મહાનગર પાલિકા બને તો એસ્ટેટ બજારમાં તેજી આવે તેવી વિસ્તારથી વિગતો લેખિત રજૂઆતમાં જણાવાઈ હતી.