-
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્વતંત્રતા બાદ પહેલી વખત એક સાથે એક વર્ષમાં 30 કરતા વધુ એસ.ટી., એસ.સી. વિદ્યાર્થીઓ ડોક્ટર બની શક્યા છે
-
છેલ્લા પાંચ વર્ષમાં દાનહ અને દમણ-દીવના એસ.ટી., એસ.સી. વર્ગના 158 વિદ્યાર્થીઓ, ઓ.બી.સી. સમુદાયના 96 અને ઈ.બી.સી. વર્ગના 80 વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરી રહ્યા છે
-
સંઘપ્રદેશમાં વિદ્યાર્થીઓના હિતરક્ષક અને દીર્ઘદૃષ્ટા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નમો મેડિકલ કોલેજ શરૂ થવાના વર્ષે વિદ્યાર્થીઓ સરળતાથી નીટ ક્વોલીફાઈ કરી શકે એ માટે દેશની સુપ્રસિદ્ધ એલન કોચિંગ ઈન્સ્ટિટયૂટ મારફત ઘરઆંગણે મફત કોચિંગની કરેલી વ્યવસ્થાનું મળેલું ઉત્તમ પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : નમો મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ-સેલવાસમાં આ વર્ષે દાદરા નગર હવેલી અને દમણ-દીવના અનુ.જનજાતિ (એસ.ટી.) અને અનુ.જાતિ (એસ.સી.)ના 30 કરતા વધુ વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.ની ડીગ્રી પૂર્ણ કરી ઈન્ટર્નશીપ કરી રહ્યા છે અને 2025ના વર્ષમાં એક સાથે એસ.ટી. અને એસ.સી.ના 30 કરતા વધુડોક્ટરો બહાર પડશે.
વર્ષ 2019-‘20થી લઈ 2023-‘24 સુધી દાનહ અને દમણ-દીવના એસ.ટી. અને એસ.સી. સમુદાયના 158 કરતા વધુ વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરી ભવિષ્યના ડોક્ટર બની રહ્યા છે. જ્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઓ.બી.સી. સમુદાયના 96 અને ઈકોનોમિકલી વીકર સેક્શન(ઈ.ડબ્લ્યુ.એસ.)ના 80 વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી ડોક્ટર બનવાની કગાર ઉપર છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ જેવા ટચૂકડા પ્રદેશમાં એસ.ટી. અને ઓ.બી.સી. વર્ગના એક સાથે આ વર્ષે 30 કરતા વધુ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પોતાનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટર બની રહ્યા છે જે નાનીસૂની સિદ્ધિ નથી.
અત્રે યાદ રહે કે, નમો મેડિકલ કોલેજના આરંભ પહેલાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં નીટ ક્વોલીફાઈ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખુબ જ સીમિત હતી. મેડિકલ કોલેજના આરંભ સમયે એવું લાગતું હતું કે, 150 વિદ્યાર્થીઓની સંખ્યા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી કેવી રીતે મળી રહેશે..? પરંતુ સંઘપ્રદેશના દીર્ઘદૃષ્ટા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મેડિકલ કોલેજ શરૂ થવા પહેલાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યાર્થીઓ સરળતાથી નીટ ક્વોલીફાઈ કરી શકે એ માટે દેશની સુપ્રસિદ્ધ એલન કોચિંગ ઈન્સ્ટિટયૂટ સાથે કરારકરી વિદ્યાર્થીઓને પોતાના ઘરઆંગણે મફત કોચિંગની વ્યવસ્થા કરાવી હતી. જેના કારણે પહેલા જ વર્ષે વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા મળવા સાથે વેઈટિંગ લીસ્ટ પણ લાંબુ થયું હતું.
છેલ્લા પાંચ વર્ષમાં નમો મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ – સેલવાસમાં કુલ 860 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં 2019-‘20ના પહેલા બેચના 149 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી શરૂ થયેલ નમો મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ફક્ત દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે જ નહીં પરંતુ આજુબાજુના પ્રદેશો માટે પણ તબીબી સારવાર માટે આશીર્વાદરૂપ બની ચુકી છે. જેનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી.