(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ નજીકના પીપરીયા વિસ્તારમાં આવેલ આંબેડકરનગરના એક આવાસ યોજનાની બિલ્ડીંગના ફલેટમાં રૂમની અંદર સિલીંગનો પ્લાસ્ટરનો પોપડો ખરી પડતાં રહેવાસીઓમાં ભયની લાગણી પ્રસરી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના પીપરીયા આંબેડકર નગર સ્થિત પાલિકા દ્વારા 10(દશ) વર્ષ અગાઉ ગરીબ અને વંચિત લોકોના માટે ‘આઇ.એચ.એસ.ડી.પી. સ્કીમ’ અંતર્ગત કુલ 9(નવ) જેટલી 4 માળની બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં 144 ફલેટ છે. આ આવાસીય બિલ્ડિંગમાં કેટલાક પરિવારો રહે છે. જેમાંથી એક પરિવારના ઘરની અંદર સિલીંગમાંથી પ્લાસ્ટરનો પોપડો તૂટી પડયો હતો. સદ્નસીબે તે સમયે ઘરના સભ્યો બહાર કોઈક કામસર બહાર ગયા હતા. પરિવારના વ્યક્તિના જણાવ્યા અનુસાર બપોરના સમયે અમારી એક વર્ષની દીકરી રોજના સુઈ જાય છે, પરંતુ આજે એ ઘરમા ઉંઘી ન હતી, તેથી ગંભીર અકસ્માતથી બચી હતી.
આ આંબેડકર નગરના આવાસો બન્યાને હજી તો દશ જવર્ષ થયા છે એટલા સમયમાં જ પ્લાસ્ટરના પોપડા નીકળવા લાગ્યા છે, તેના ઉપરથી એવું પ્રતિત થાય છે કે, માલ-મટીરિયલમાં મિલાવટ કરવામાં આવી હોય શકે. પ્રશાસને આ ઈમારતની મજબૂતાઈ તપાસવી જોઈએ કે, આ બિલ્ડીંગો માણસોને રહેવાયોગ્ય કે નહીં.