(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સંચાલિત ગુજરાત બોર્ડ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, સલવાવ ખાતે નવા શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે શાળાની માહિતી, નિયમો અને અભ્યાસક્રમ સહિત શાળામાં સકારાત્મક માહોલ પ્રત્યે અભિમુખતા કેળવાય એ હેતુથી 15 જૂન 2024નાં રોજ એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજીના આશીર્વાદ અને રામ સ્વામીના પ્રેરણાત્મક પ્રવચન થી થઈ હતી. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રીમતિ રીનાબેન દેસાઈ દ્વારા શાળાના માળખા થી વાલીઓ ને અવગત કરાવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શાળાનાં નવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા શાળાના આચાર્ય શ્રીમતિ રીનાબેન દેસાઈ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કરી વિદ્યાર્થીઓની આશૈક્ષણિક સફરમાં માતા-પિતાની શું ભૂમિકા હોય છે અને વિદ્યાર્થીઓનાં અભ્યાસમાં માતા-પિતાનો સહયોગ અને માર્ગદર્શન કેટલુ જરૂરી છે એ વિશે જરૂરી સૂચનો આપ્યા હતાં.
વિદ્યાર્થીઓના આગામી શૈક્ષણિક વર્ષ 2004-25માં નવી શિક્ષણ નીતિ 2020 તથા શાળાના નિયમો વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓને મહત્વની માહિતી આપી હતી. તેમજ માતા-પિતાના સાથ સહકાર સાથે વિદ્યાર્થીઓના સારા પરિણામ માટે વાલીઓને આશ્વસન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ જાગૃત વાલીઓનો મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પુરાણી કપિલ સ્વામીજી, રામ સ્વામીજી તથા શાળાના આચાર્ય રીનાબેન દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો.