-
ખાનવેલ તથા દૂધનીના કાર્યાન્વિત વિવિધ પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરી આપ્યા જરૂરી દિશા-નિર્દેશો
-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રદેશના ત્રણેય જિલ્લા દાનહ, દમણ અને દીવના સમતોલ અને સર્વાંગી વિકાસના આગ્રહી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાના ચાર દિવસીય દાદરા નગર હવેલી પ્રવાસનો આરંભ કર્યો હતો. તેમણે પહેલા દિવસે ખાનવેલ વિસ્તારના વિવિધ કાર્યાન્વિત પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પહેલાં દિવસે ખાનવેલ રિવરફ્રન્ટ, ખાનવેલ જંક્શન, ખાનવેલ જંક્શનથી ખેડપા(મહારાષ્ટ્રની સરહદ) સુધી સડકનિર્માણ, ચિખલપાડા મરાઠી માધ્યમ પ્રાથમિક શાળા રૂદાના, ખેડપાથી દૂધની વાયા બેડપા, કૌંચાપુલ સુધીની સડક સહિતના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે બપોરે દૂધની પ્રવાસી પરિસર, દૂધની સ્કૂલ, કરચોંડ પ્રાથમિક શાળા, મેઢા પ્રાથમિક વિદ્યાલય, ખેરારબારી પ્રાથમિક વિદ્યાલય, સેલટી પટેલપાડા પ્રાથમિક વિદ્યાલય, દૂધની જંક્શનથી ખાનવેલ જંક્શન સુધી સડક નિર્માણ, ખાનવેલ ઉપ જિલ્લા હોસ્પિટલ અને સ્ટાફ આવાસનું નિર્માણ, ખાનવેલ હાઈસ્કૂલ ભવન અને ખાનવેલ હોસ્ટેલ સહિતના પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણેય જિલ્લાના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે આગ્રહી છે. તેઓ સમય સમય ઉપર વિવિધ જિલ્લામાં પ્રવાસ કરી કામની ક્વોલીટી અને જરૂરિયાતનું આકલન કરી ભાવિ આયોજન કરતા રહે છે.