(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકાના છેવાડે ગણદેવી તાલુકાને અડીને આવેલા ઘેકટી ગામની સીમમાંથી પસાર થતી સ્થાનિક કોતરમાં છેલ્લા ઘણા સમયથી આંતલીયા જીઆઈડીસી વિસ્તારમાંથી ગંદુ કેમિકલ વાળું રંગીન પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કોતર કાવેરી નદીને મળતું હોય જળચર જીવ શૃષ્ટિ સાથે જમીનની ફળદ્રુપતા ઘટતા ખેડૂતોને પણ નુકશાન થઈ રહ્યું છે. બીજી તરફ આ કોતર કાવેરી નદીને મળે છે તેનાથી થોડા અંતરે ઘેકટી અને બીલીમોરા શહેરમાં પીવાનું પાણી પૂરું પાડવાની યોજના છે.
ઉપરોક્ત મુજબના અખબારી અહેવાલ બાદ હરકતમાં આવેલ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે સ્થળ મુલાકાત કરી આગળની કાર્યવાહી માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જીપીસીબીના અધિકારીઓને અહેવાલ સુપ્રત કર્યો હતો. બીજી તરફ જીપીસીબીના અધિકારીઓએ પણ રજૂઆત કર્તા વંકાલ વજીફાના દીપકભાઈ સોલંકીની હાજરીમાં સ્થળ મુલાકાત કરી પાણીના નમૂના લઈ જરૂરી ચકાસણી માટે તજવીજ હાથ ધરી હતી.
મામલતદારના અહેવાલમાં આંતલિયા જીઆઈડીસીની ફેકટરીઓ દ્વારાગંદુ અને કેમિકલવાળું પાણી કોતરમાં છોડવામાં આવતું હોવાનું સ્પષ્ટ જણાવાયું છે. ત્યારે જીપીસીબીના અધિકારીઓ તટસ્થતા દાખવી કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલશે તે જોવુ રહ્યું મામલતદારના અહેવાલમાં ઘેકટી ગામે કોતરમાં આંતલિયા જીઆઇડીસીની ફેકટરીઓ દ્વારા પાણી છોડવામાં આવે છે. તેમાંથી ગંદી વાસ મારે છે. આગળ જતાં આ ગંદુ અને ઝેરી પાણી કાવેરી નદી કાવેરી નદીમાં મળે છે. જે નદીનું પાણી બીલીમોરા શહેરના રહેવાસીઓ પીવામાં અને અન્ય કામે ઉપયોગ કરે છે. ઉપરોક્ત હકીકત રૂબરૂ તપાસ દરમ્યાન જણાય છે. તેમ જણાવાયું છે.
ઘેકટી ગામમાંથી પસાર થતા કોતરમાં વર્ષોથી જીઆઇડીસી વિસ્તારમાંથી ગંદુ કેમિકલ વાળું પાણી જાહેરમાં બિન્દાસ પણે છોડવામાં આવી રહ્યું છે. સ્થળ પર આવેલા જીપીસીબીના અધિકારીઓને ખેડૂતોએ દર વર્ષે ચીકુના ઝાડો આ પાણીના લીધે મરી જતા અને ખેતીવાડીને નુકશાન થતું હોવાની રજૂઆત કરી હતી. આ રજૂઆત પહેલી વખતની નથી પરંતુ જીપીસીબીના અધિકારીઓ દ્વારા કોઈ ફેકટરી સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ નથી કે પાણી પણ બંધ કરાવેલ નથી. ત્યારે ગાંધી છાપની લ્હાયમાં જાહેર હિતને અભરાઈએ ચઢાવનારા લાંચિયા અધિકારીઓના વહીવટમાં આ વખતે પણ નક્કરકાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ છે.