શારીરિક અને માનસિક બિમારીઓને ભગાવવાનું કામ યોગ કરે છેઃ
સાંસદ ધવલભાઈ પટેલ
શ્રીનગરથી વડાપ્રધાનશ્રી અને નડાબેટથી મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું
જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ તેમજ સરકારી કચેરીઓમાં વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: ‘‘સ્વયં અને સમાજ માટે યોગ”ના સંદેશ સાથે આજે તારીખ 21 જૂનના રોજ વલસાડના રમણીય તિથલ બીચ પર સ્થિત સ્વામિનારાયણ મંદિરના ડોમમાં વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં અંદાજે 2000 જેટલા લોકોએ યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરી જિલ્લા કક્ષાના 10માં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરી હતી. કાર્યક્રમદરમિયાન શ્રીનગરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને નડાબેટથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું.
વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છા પાઠવી વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે, યોગએ પ્રાચીન કાળથી ઋષિમુનિઓ તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. અંદાજે પાંચ હજાર વર્ષથી યોગનું પ્રચલન છે પરંતુ તેની વિશ્વ કક્ષાએ નોંધ લેવાઈ ન હતી પરંતુ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનાઈટેડ નેશન્સની મહાસભામાં વર્ષ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂકયો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો અને ત્યારથી એટલે કે, 21મી જૂન, 2015 થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. તા.21 જૂન જ એટલા માટે પસંદ કરવામાં આવી કે, સમગ્ર વર્ષ દરમિયાન તા.21 જૂનનો દિવસ સૌથી લાંબો હોય છે.
યોગના અભ્યાસ પર વધુ ભાર મુકતા સાંસદશ્રીએ જણાવ્યું કે, દરેક રોગની સમસ્યાઓનું સમાધાન યોગ છે. રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. યોગએ આપણીવિરાસત છે જે વિરાસત અને વિકાસને જોડે છે. આજના તણાવયુક્ત જીવનમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવવા યોગએ ઉત્તમ માધ્યમ બન્યું છે. સ્વયં અને સમાજને સ્વસ્થ રાખવા માટે યોગ ખૂબ ફાયદાકારક છે, જેથી આવનારી પેઢીને પણ યોગનો વૈશ્વિક સ્તરે બહોળો ફેલાવો કરવા માટે આહ્વાન કરૂ છું. વધુમાં તેમણે રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાઉથ ઝોનના કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેએ સ્ટેજ પરથી જિલ્લા કો-ઓર્ડિનેટર નિલેશ કોસિયા, યોગ કોચ દક્ષા રાઠોડ અને યોગ ટ્રેનર શીતલ ભાનુશાલી સાથે સૌને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવતા સૌએ વહેલી સવારમાં તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કર્યો હતો.
આ પ્રસંગે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજીત કૌર, ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા, જિલ્લા રમત ગમત અધિકારી જી.જી.વળવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલી જોશીઅને જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્કેશ પટેલ સહિતના મહાનુભાવો અને વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ યોગ દિવસની ઉજવણી વલસાડ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ તેમજ વિવિધ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશનો ખાતે પણ કરવામાં આવી હતી. જેને પગલે વલસાડ જિલ્લો યોગમય બન્યો હતો.