વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી માટે રજા આપવાનો ઠરાવ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે સોમવારે તાલુકા પંચાયતની કચેરીમાં યોજાઈ હતી. જેમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા.
તા.પં.ની સામાન્ય સભામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે ઈમરજન્સી સિવાયના સરકારી વિભાગો, કંપનીઓ અને સંસ્થામાં રજા રાખવાનો ઠરાવ કરાયો હતો. શિક્ષકોને શૈક્ષણિક કામ સિવાય અન્ય સરકારી કામગીરી કરાવાય છે તે બંધ રાખી માત્ર શૈક્ષણિક કામગીરી શિક્ષકો કરે તેવીકેટલાક સભ્યોએ રજૂઆત કરી હતી. સ્માર્ટ મીટર પ્રોજેક્ટ પંચાયતોમાં ઠરાવ કરી કામગીરી કરવામાં આવે તેની જીઈબીને જાણ કરવી. વાપી-શામળાજી ને.હા.ના રોડનો મુદ્દો પણ સામાન્ય સભામાં સભ્યોએ ઉઠાવ્યો હતો. કરવડથી ખાનપુર સુધી રૂા.22.50 કરોડનો રોડમાં ભ્રષ્ટાચાર થયાની લેખિત ફરિયાદ પણ કરાઈ હતી. રોડ ઉપર ખાડેખાડા પડી ગયા છે. આદિમજુથના આવાસો તાત્કાલિક સર્વે કરી બાકી રહેલાઓને આવાસ મળે. કેટલીક શાળા જર્જરીત ઓરડાઓનો મુદ્દો પણ ચગ્યો હતો. અનેક શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જેવી અનેક બાબતો સામાન્ય સભામાં રજૂ થઈ હતી.