રવિવારે ભારતીય અંગદાન દિવસના ઉપલક્ષમાં નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ)-સેલવાસમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં અને ડો. વી.કે.દાસના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી મેડિસિન, નમો મેડિકલ કોલેજ એન્ડ એજ્યુકેશન રિસર્ચ ઈન્સ્ટિટયૂટ-સેલવાસની સાથે મળી લોકોમાં અંગદાન અંગે જાગૃતિ પેદા કરવા માટે સક્રિય અને ઉત્સાહી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોને અંગદાનનું મહત્વ અને તેની જીવનરક્ષક ક્ષમતાની બાબતમાં શિક્ષિત અને સંવેદનશીલ બનાવવા માટે ઠેર ઠેર જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
જુલાઈ, 2024ના મહિનામાં કોલેજો, સંસ્થાઓ અને ઉદ્યોગોમાં અનેક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જ્યાં લોકોને મૃત્યુ બાદ અંગદાનના મહત્વની બાબતમાં શિક્ષિત કરાયા અને ઓનલાઈન પ્રતિજ્ઞા રજીસ્ટ્રેશન કરવાનો વધુમાં વધુ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મહિનામાં હજારો લોકોએ અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી અને 800થી વધુ લોકોએ સરકારના અધિકૃત પ્લેટફોર્મ (notto.abdm.gov.in) ઉપર ઓનલાઈન પ્રતિજ્ઞા લીધી હતી. આ જાગૃતિ અભિયાન લોકોને અંગદાનના મહત્વની બાબતમાં જાગૃત કરી તેમને અંગદાન માટે પ્રતિજ્ઞા લેવા માટે પ્રેરિત કરવા આયોજીત કરાયો હતો. જાગૃતિ અભિયાન અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓમાં યુ.ટી. સ્તરીય પોસ્ટર અને રિલ્સ સ્પર્ધા યોજવામાં આવી હતી.
ગઈકાલ તા.3 ઓગસ્ટે ભારતીય અંગદાન દિવસના ઉપલક્ષમાં નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ)-સેલવાસમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સર્વશ્રેષ્ઠ 3 પોસ્ટર અને રિલ બનાવનારાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ પ્રકારની પ્રવૃત્તિનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને અંગદાનની બાબતમાં જાગૃતિ વધારવા માટે રચનાત્મક માધ્યમોના માધ્યમથી મહાન ગતિવિધિમાં સામેલ થવા માટે પ્રેરિત કરવાનો હતો. તદ્ઉપરાંત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ભારતીય અંગદાન દિવસના ઉપલક્ષમાં એક રંગીન રંગોળી બનાવી પોતાના કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન પણ કર્યું હતું. આ પ્રયાસોથી અંગદાનની બાબતમાં જાગૃતિ અને પ્રતિજ્ઞામાં નોંધપાત્ર વધારો થયો છે જેનાથી જીવન બચાવવાની સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું છે.
પોતાની પિતાની ઈચ્છા પ્રમાણે અંગદાન દિવસના અવસરે દમણના મયુરભાઈ મર્ચન્ટે પોતાના પિતાના પાર્થિવ શરીરનું કરેલું અંગદાન
સેલવાસની નમો મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ ઈન્સ્ટિટયૂટને સદ્ગત તરૂણભાઈ શિવલાલ મર્ચન્ટનું અંગદાન ચિકિત્સા વિજ્ઞાન અને શિક્ષણને આગળ વધારવા મદદ કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : ભારતીય અંગદાન દિવસના અવસરે નાની દમણના શ્રી મયુરભાઈ મર્ચન્ટે પોતાના મૃતક પિતાના શરીરનું દાન નમો મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ ઈન્સ્ટિટયૂટ-સેલવાસને આપી એક ઉદાર અને મહત્વનું પગલું ભર્યું હતું. જે તેમના પિતાની પણ ઈચ્છા હતી. પોતાના પાર્થિવ શરીરનું દાન આપવાની ઈચ્છા શ્રી મયુરભાઈ મર્ચન્ટના પિતા સ્વ. શ્રી તરૂણભાઈ શિવલાલ મર્ચન્ટની હતી, જેમનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.
શ્રી મયુરભાઈ મર્ચન્ટે પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય તેમના પરિવારની અંગદાનના મહાન મહત્વ પ્રત્યે પ્રતિબધ્ધતાનું પ્રમાણ છે. આ ઉદાર કાર્ય ચિકિત્સા વિજ્ઞાન અને શિક્ષણને આગળ વધારવામાં મદદ કરશે અને આવતા દિવસોમાં અનેક લોકોના જીવન બચાવવા માટે નિમિત બનશે.