ત્રણ પરિવારો બેઘર બની ગયા, તમામને સેલ્ટર હોમમાં ખસેડાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિએ જ્યાં ત્યાં વિનાસ વેરવો શરૂ કરી દીધો છે. ખાસ કરીને વલસાડ શહેરના આજુબાજુ તથા તળના ગામોમાં ઔરંગા નદી પુરના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી જઈને જનજીવન ઠપ્પ કરીને સારી એવી ખાનાખરાબી-તારાજી સર્જી દીધી છે. તેવી વધુ એક ઘટનાનો સોમવારે રાત્રે વધારો થયો છે. વલસાડના ભાગડાખુર્દ ગામે વહેતી ઔરંગા નદીના પાણી પ્રોટેકશન વોલ ધસી પડતા ગામમાં ઘૂસી ગયા હતા. કિનારાના ત્રણ ઘરની પાછળની દિવાલો ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ બાદ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.
વલસાડના ભાગડાખુર્દ ગામે ત્રણ મકાનની દિવાલો તૂટી પડતા ત્રણ પરિવારો રાતમાં બેઘર થઈ ગયા હતા. મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ ગામમાં ધસી ગયા હતા. ત્રણેય પરિવારના 20 જેટલા સભ્યોને તાત્કાલિક સેલ્ટર હોમમાં ખસેડાયા હતા. ભોગ બનનાર પરિવારોએ વળતરની માંગ કરી હતી તેમજ પુરના પાણીની સમસ્યાઅંગે દરેક નેતાઓને લેખિત-મૌખિક માંગણી કરી છે પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી થયો નથી.