સમગ્ર જમીન કૌભાંડની તપાસ ઈ.ડી., સી.બી.આઈ. જેવી એજન્સીઓ દ્વારા કરાવવા શિવસેનાના પ્રદેશ પ્રમુખ સ્વેતલ ભટ્ટની જિલ્લા કલેક્ટરને રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આદિવાસીઓના લેન્ડલેસ પ્લોટોમાં રચવામાં આવેલ કૌભાંડ સંદર્ભે તપાસ માટે પ્રદેશ શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે.
પ્રદેશ શિવસેનાએ કલેક્ટરશ્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે દાનહમાં કેટલાક વર્ષો પહેલા ગરીબ અને ભૂમિહીન આદિવાસીઓને પ્રશાસન દ્વારા દાહના ગરીબ અને અસહાય આદિવાસી પરિવાર ખેતી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરી શકે એ ઉદ્દેશ્યથી લેન્ડલેસ પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ ભારત સરકારેઅમલમાં લાવેલી ટેક્સ હોલી ડે યોજનાના કારણે પ્રદેશમાં મોટાપાયે ઉદ્યોગોનું આગમન થવા લાગ્યું હતું. જેના કારણે ઔદ્યોગિક ક્રાંતિથી જમીનોની કિંમત ધીરે ધીરે વધવા લાગી. તેને જોઈ કેટલાક જમીન દલાલો/ભૂમાફિયાઓની મેલી નજર આ જમીનો ઉપર પડી અને જેના કારણે કેટલાક આદિવાસીઓના લેન્ડલેસ પ્લોટ વેચાઈ ગયા.
ભારત સરકાર દ્વારા જે ગરીબ ભૂમિહીન આદિવાસીઓના જીવન નિર્વાહ કરવા માટે જમીન મફત આપી હતી એને વેચી શકાય નહિ, છતાં પણ મોટી સંખ્યામાં આદિવાસીઓના લેન્ડલેસ પ્લોટ જે તે સમયના રાજસ્વ વિભાગના સંબંધિત અધિકારીઓના સહયોગ અને ભૂ-માફિયાઓની મીલીભગતથી વેચાઈ ચૂક્યા છે. કેટલાક કિસ્સાઓમાં લેન્ડલેસ પ્લોટ ખરીદવા માટે ભૂ-માફિયાઓએ કારસ્તાનો રચી પડોશી રાજ્યના કેટલાક ગામોમાં કાર્યરત મહેસૂલ વિભાગના કર્મચારીઓની મદદથી બીજા ખેડૂતોના નામે ચાલી રહેલ જમીનના કાગળો સાથે છેડછાડ કરાવી, બોગસ 7/12 મેન્યુલ બનાવી અને સ્થાનિક મહેસૂલ વિભાગમાં જમા કરાવ્યા હતા. પરંતુ હદ તો ત્યારે થઈ કે પડોશી રાજ્યમાં કોઈ જમીન ખરીદવામાં જ આવેલ નથી. ફક્ત કાગળ ઉપર જ જમીન બતાવવાનું કામ થયેલ. આવા કિસ્સામાં દાનહ અને પડોશી રાજ્યના સ્થાનીક પ્રશાસન સાથે પણ છેતરપિંડી કરવામાં આવેલ છે. આ કથિત રૂપે મોટા કૌભાંડને અંજામઆપવાનું કામ કરવામાં આવેલ છે. જેને ગંભીર રીતે સમજવાની જરૂર છે, કારણ કે જમીન ખરીદવા અને વેચવાના પ્રકરણમાં જમીન ખરીદનારની સાથે સાથે સૌથી મોટી જવાબદારી સંઘપ્રદેશના મહેસૂલ વિભાગના તત્કાલીન સંબંધિત અધિકારીઓની હોવી જોઈતી હતી. જે ભૂમિહીન આદિવાસીઓએ જમીન વેચી છે એના બતાવવામાં આવેલ સ્થળ ઉપર ખરેખર જમીન ખરીદેલ છે કે નહિ? એની પૂર્ણરૂપે તપાસ કરાવ્યા બાદ જ જમીન સંદર્ભે સેલ પરમિશન/દસ્તાવેજ સહીત કામકાજ કરવું જોઈતું હતું પરંતુ દુર્ભાગ્યવશ આ કિસ્સામાં આવું કંઈ જ કરેલ નહિ.
પ્રદેશમાં મોટું અને બદઈરાદાથી પાર પાડવામાં આવેલ લેન્ડલેસ પ્લોટના કૌભાંડમાં કેટલાક જમીનદારો અને ઉદ્યોગો સાથે જોડાયેલ વેપારીઓના નામો પણ હોવાનું શિવસેના દ્વારા કલેક્ટરશ્રીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે. આ કૌભાંડની તપાસ માટે શિવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી સ્વેતલ ભટ્ટે ઈ.ડી., સી.બી.આઈ. જેવી એજન્સીઓ દ્વારા તટસ્થ અને યોગ્ય તપાસ કરાવવામાં આવે અને કૌભાંડમાં તમામ દોષિતોને કડકમાં કડક સજા મળે એવી માંગ બુલંદ કરી છે.