(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: ગુજરાતમાં ઠેર-ઠેર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યાત્રાઓ યોજાઈ રહી છે અને દેશભક્તિના નારા ગુંજી રહ્યા છે ત્યારે ગુજરાતની મહારાષ્ટ્ર બોર્ડર પર કપરાડાના હુડા ગામની પ્રાથમિક શાળામાં 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રાનું આયોજન કપરાડા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યાત્રામાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુર પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી, કપરાડા મામલતદાર ડી.એસ.શાહ સહિત તમામ વહીવટી તંત્રએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગતયાત્રામાં ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી માટે અનેક નેતાઓ શહીદ થયા છે. દેશ ભક્તિને પ્રજ્વલિત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રની ભાવના નિર્માણ થઈ રહી છે. જેની ઉજવણી આન બાન અને શાનથી કરવા માટે અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા પ્રાથમિક શાળા હુડા (નાચન ખડક) થી મુખ્ય રોડ ફરીને પ્રાથમિક શાળા હુડા (આંબાપાડા) ખાતે પૂરી થઈ હતી. તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, સામાજિક ન્યાય અધ્યક્ષ કાશુભાઈ ભંસરા, જિલ્લા પંચાયત સદસ્ય મીનાક્ષીબેન ગાંગોડા, તાલુકા પંચાયત સદસ્ય ધાયત્રીબેન ગાયકવાડ, તાલુકા પંચયત સદસ્ય મનીષાબેન ચૌધરી, માધુભાઈ સરનાયક, ચંદરભાઈ ગાયકવાડ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, તાલુકા પંચાયતના કર્મચારીઓ, કપરાડા પોલીસ, વન વિભાગના કર્મચારીઓ અને સામાજિક અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર પંથક દેશભક્તિના નારાથી ગુંજી ઊઠ્યો હતો.