2016 સુધી દમણ અને દાદરા નગર હવેલીના ધોરણ 12 ગુજરાત બોર્ડના વિજ્ઞાન પ્રવાહનું સેન્ટર વાપી હતું: 2017થી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના દમણ અને સેલવાસ સેન્ટરની થયેલી શરૂઆત
2017-18ના શૈક્ષણિક વર્ષ દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના ઉચ્ચ સ્તરીય સંપર્કનો ઉપયોગ કરી પ્રદેશ માટે સેન્ટ્રલ પૂલ ઉપરથી ફાળવવામાં આવતી એમ.બી.બી.એસ.ની બેઠકોમાં વધારો કરતા દમણ અને દીવના ઈતિહાસમાં પહેલી વખત એસ.સી. અને એસ.ટી.ના વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરવાની મળેલી તક
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના અસલી ચહેરા અને ચરિત્રથી પણ વાકેફ હોવાથી તેમની સીધી નજર હંમેશા આ પ્રદેશ પ્રત્યે રહી છે
(ભાગ-04)
સંઘપ્રદેશ પ્રશાસને છેલ્લા 8 વર્ષમાં પ્રાથમિક શિક્ષણથી લઈ યુનિવર્સિટી સ્તર સુધીના શિક્ષણને લોકાભિમુખ અને વિદ્યાર્થીલક્ષી બનાવવા અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપ બોર્ડ અને યુનિવર્સિટીના પરિણામોમાં પણ પ્રભાવશાળી સુધારો આવ્યો છે. 2016 સુધી દમણ અને દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓને ધોરણ 12વિજ્ઞાન પ્રવાહની ગુજરાત બોર્ડની પરીક્ષા માટે વાપી સેન્ટર ખાતે આવવા પડતું હતું. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને ખુબ જ તકલીફ સહન કરવા પડતી હતી. વિદ્યાર્થીઓને પોતાના પ્રદેશમાં જ ધોરણ 12નું સેન્ટર મળી રહે તે માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલી ઉચ્ચ સ્તરની રજૂઆતના પરિણામે 2017ના માર્ચ મહિનાથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું સેન્ટર દમણ અને સેલવાસ ખાતે શરૂ થઈ શક્યુ છે. જેના કારણે વિદ્યાર્થીઓના સમય અને પૈસાની પણ બચત થઈ છે.
સંઘપ્રદેશ પ્રશાસને છેલ્લા 8 વર્ષ દરમિયાન શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારના ઘડતર માટે પણ અનેક નવી પહેલો કરી છે. પોતાના મા-બાપ તથા ગુરૂજનોને પ્રણામ કરવાનું મહત્ત્વ પણ પ્રશાસન દ્વારા સમજાવવામાં આવ્યું છે. ગુરૂપૂર્ણિમાની ઉજવણીને પણ દરેક શાળાઓમાં સાર્થક રીતે કરવાની પરંપરા શરૂ કરાઈ છે. સંઘપ્રદેશ પ્રશાસને કાળજીપૂર્વક લીધેલા અનેક નિર્ણયોના કારણે વિદ્યાર્થીઓને સાચી દિશા મળી છે. 2017-18ના શૈક્ષણિક વર્ષ દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના ઉચ્ચ સ્તરીય સંપર્કનો ઉપયોગ કરી પ્રદેશ માટે સેન્ટ્રલ પૂલ ઉપરથી ફાળવવામાં આવતી એમ.બી.બી.એસ.ની બેઠકોમાં વધારો કરતા દમણ અને દીવના ઇતિહાસમાં પહેલી વખત એસ.સી. અને એસ.ટી.નાવિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરવાની તક મળી હતી. 2017-18 પહેલાં એક વર્ષે એસ.સી. અને બીજા વર્ષે એસ.ટી.ના વિદ્યાર્થીને એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરવાની તક હતી. આજે એસ.સી. અને એસ.ટી. વર્ગના બે વિદ્યાર્થીઓ ડોક્ટર બની પોતાના પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારી પણ કરી રહ્યા છે. આ નાની સિદ્ધિ નથી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દાદરા નગર હવેલી અને દમણ-દીવના અસલી ચહેરા અને ચરિત્રથી પણ વાકેફ હોવાના કારણે જ તેમની સીધી નજર પ્રદેશ પ્રત્યે રહી છે. મોદી સરકારના ગઠનના 10 વર્ષ બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવે વામનમાંથી વિરાટ બનવા તરફ પોતાની કૂચ આદરી છે. જેમાં શિક્ષણ અને સંસ્કારની સાથે સાથે સામાન્ય લોકોના જીવનની સુધારણાં તથા પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય કરવા પણ લીધેલા અનેક પગલાંઓનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસન ઉપર લેન્ડમાફિયા, સત્તાના દલાલો, અસામાજિક તત્ત્વો તથા લીકરમાફિયાઓનો સીધો અંકુશ હતો. આજે પરિસ્થિતિમાં મહદ્અંશે સુધારો અવશ્ય આવ્યો છે અને રહી ગયેલી કમીને આવતા દિવસોમાં પૂર્ણ રીતે સુધારવાની દિશામાં પણ પ્રશાસન પ્રયાસરત હોવાનું દેખાય છે.