(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : આજે સંઘપ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દમણની સુપ્રસિદ્ધ વેલનોન પોલીએસ્ટર લિમિટેડ, આંટિયાવાડ-દાભેલ ખાતે કર્મીચારીઓને ડેંગ્યુના ફેલાવાને રોકવા માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ ડેંગ્યુ રોગચાળા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડેંગ્યુના ફેલાવાને રોકવા માટે અમને તમારા સહયોગની જરૂરિયાત છે. ડેંગ્યુનો તાવ એકભયંકર બિમારી છે જે મચ્છરથી ફેલાય છે. મોટાભાગની કંપનીઓના પરિસરમાં ખાસ કરીને પાણીના ખાબોચિયાં જોવા મળે છે. જે મચ્છરો પેદા કરવાનું કારણ બની શકે છે. જેને અટકાવવા માટે આપણે આસપાસના વિસ્તારને સાફ રાખવો અને ખાબોચિયામાં પાણીને એકત્ર થવા નહીં દેવું. જૂના ટાયરો, ડબ્બાં અને અન્ય કન્ટેનરોનો નિકાલ કરો અથવા તેને ઉલટા કરીને રાખો. કંપનીમાં કામ કરતા શ્રમિક પૂર્ણ બાંયના શર્ટ અને પેન્ટ પહેરે તથા સુવાના સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરે જેનાથી આ બિમારીથી બચી શકાય છે.
ડેંગ્યુના લક્ષણો જણાવતાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સખત તાવ, શરીરમાં માંસપેશીઓ અને સાંધામાં સખત દુઃખાવો, માથું દુઃખવું, ખાસ કરીને આંખોની પાછળ દુઃખવું, ઉબકા અને ઉલટી થવી, ચામડી ઉપર લાલ ચકામા થવા આ બિમારીના સામાન્ય લક્ષણો છે. તેથી કોઈપણ શ્રમિક આ પ્રકારના લક્ષણોથી પીડિત હોય તો તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં જઈ લોહીની તપાસ કરાવવી અને પોતે પણ દવા નહીં લો ફક્ત પેરાસિટામોલ લઈ શકાય છે. પરંતુ એસ્પેરિન અને ઈબુપ્રોફિન નહીં લેવી. કારણ કે દર્દીઓ માટે એસ્પેરિન અને ઈબુપ્રોફિન ખતરનાક થઈ શકે છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કર્મચારીઓએ વેલનોન કંપનીના દરેક હાઉસકિપિંગના લોકોનેમચ્છર પ્રજનન સ્થળોના નાશ કરવાનું પણ પ્રશિક્ષણ આપ્યું હતું.