રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર અને પાલિકા દ્વારા થઈ રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો
બરૂડીયાવાડમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોડી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લું રખાશે
કલોરીનેશન, ડસ્ટીંગ અને સર્વેલન્સ ઉપર પ્રભારી સચિવશ્રીએ વિશેષ ભાર મુકી જરૂરી સૂચનો કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: વલસાડ શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તાર એવા વલસાડપારડીના કાશ્મીરનગર અને બરૂડિયાવાડની વલસાડ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અને નેશનલ હેલ્થ મિશનના ડાયરેકટરશ્રી રેમ્યા મોહને મુલાકાત લઈ પૂરના પાણી ઓસર્યા બાદ રહીશોને મળતી પ્રાથમિક સુવિધા અંગે ચકાસણી કરી રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય શાખા અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી સર્વેલન્સ ચાલું રાખવા સૂચન કર્યું હતું.
ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીમાં પૂર આવતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેને પગલે કાશ્મીર નગર અને બરૂડિયાવાડના વિસ્તારના લોકોનું વલસાડ પારડીના રામલાલા મંદિરના હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જો કે પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન થાળે પડી રહ્યું છે. આ દરમિયાન પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જે સંદર્ભે આજે જિલ્લાના પ્રભારી સચિવશ્રી રેમ્યા મોહને પૂર અસરગ્રસ્ત વિસ્તારનું નિરિક્ષણ કર્યુ હતું. આ દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીત, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.મનોજ પટેલ, જિલ્લા મલેરિયા અધિકારી ડો.વિરેન પટેલ અને તાલુકાહેલ્થ ઓફિસર ડો.કમલ ચૌધરીને વિશેષ રૂપે જણાવ્યું કે, ડસ્ટીંગ રેગ્યુલર કરાવવું, પીવાના પાણીનાસ્ત્રોતનું ક્લોરીનેશન કરવું અને રોગચાળો ફાટી ન નીકળે તે માટે તકેદારી રાખી સર્વેલન્સ ચાલું રાખવું. જે સૂચનો સંદર્ભે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામિતે હાલમાં આરોગ્ય કર્મીઓ રોજ ઘરે ઘરે જઈને ઝાડા-ઉલટી તેમજ તાવને લગતી વિવિધ બિમારીઓની તપાસ કરી દર્દીઓને દવા આપી રહ્યા છે, જરૂર જણાય તો મેડિકલ ઓફિસર પાસે પણ લઈ જવામાં આવે છે. આ સિવાય નજીકમાં જ સારવાર મળી રહે તે માટે બરૂડિયાવાડમાં આવેલું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ સવારે 9 થી બપોરે 1 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી ચાલું રાખવામાં આવે છે એ અંગે માહિતગાર કર્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર અને પાલિકા દ્વારા થઈ રહેલી કામગીરી અંગે પ્રભારી સચિવશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે સગર્ભા, બાળકો અને કોમોર્બિડ દર્દીઓ પર વિશેષ ધ્યાન આપી તેઓની સંભાળ લેવા સૂચન કર્યું હતું. વલસાડ પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલે પ્રભારી સચિવશ્રીને પાલિકા દ્વારા થઈ રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી.
પૂર અસરગ્રસ્ત વિસ્તારના નિરિક્ષણ વેળા જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત,વલસાડ પ્રાંત અધિકારી આસ્થા ગોહિલ, દમણગંગા નહેર સંશોધન વિભાગના કાર્યપાલક ઈજનેર એચ.કે.પટેલ, વલસાડ મામલતદાર (શહેરી) કલ્પના ચૌધરી અને ડિઝાસ્ટર મામલતદાર નફીસા શેખ સહિત સંબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.