(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : દાદરા નગર હવેલી ધોડિયા પટેલ સમાજ દ્વારા સામરવરણી પંચાયત હોલ ખાતે સંગઠન સંમેલન યોજાયું હતું. દાદરા નગર હવેલીમાં 1954થી આશરે 90%ની સંખ્યામાં કુલ સાત આદિવાસી અને અન્ય સમુદાયની જાતિઓ વસવાટ કરતી આવેલી છે. દરેક સમુદાય પોતપોતાની ભાગીદારી અને સહભાગિતાથી એકબીજા સાથે તાલમેલથી જીવન વ્યતીત કરતો આવ્યો છે. સમયાંતરે આદિવાસીઓનાં વિકાસ માટે પ્રદેશમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલી જેના કારણોસર દેશના વિવિધ રાજ્યોમાંથી જુદી જુદી જાતિ અને વિવિધ ધર્મનાં લોકોનો વસવાટ વધ્યો છે. દરેક સમાજે તેમની પ્રગતિ અને વિકાસ માટે પોતપોતાનાં સંગઠનો અને સંસ્થાઓની સ્થાપના કરી છે.
આ તમામ વચ્ચે હવે ધોડિયા સમાજ પણ ક્યાંય પાછળ નહીં રહે અને ખભેખભા મિલાવી દરેક મોરચે તેમનો સમાજ પ્રગતિ કરે અને આગળ વધે તે આવશ્યક છે. જેની કડીમાં આજે સામરવરણી પંચાયતહોલ ખાતે સમાજનું એકતા સંમેલન યોજાયું હતું. આ અવસરે સમસ્ત દાદરા નગર હવેલી ધોડિયા સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓ-આગેવાનો, વડીલો, સરકારી કર્મચારીઓ, બિઝનેસમેનો, યુવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ વર્ષ 2017માં શ્રી પ્રભુભાઈ પટેલ- રખોલીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી પ્રવીણભાઈ પટેલ, સરપંચ શ્રી રવિયાભાઈ પટેલ તથા શ્રી પ્રવીણભાઈ પટેલ (શિક્ષક), શ્રી સુરેશભાઈ પટેલ (શિક્ષક) તથા તમામ અગ્રણીઓના સહયોગથી પ્રથમ દાદરા નગર હવેલી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજનું સંગઠનનુ સંમેલન યોજાયું હતું.
આજે ફરી વખત ઘણાં સમયનાં અંતરાલ બાદ આજનાં વર્તમાન સમયની ગંભીરતા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવા માટે અગ્રણીઓના આયોજન હેઠળ સામરવરણી પંચાયત હોલ ખાતે સામાજિક બેઠક રાખવામાં આવી હતી, જેમાં આગળ વધતા યુગમાં આદિવાસી સમાજનાં સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક અને આરોગ્ય ક્ષેત્રે અસ્તિત્વ અને સમાનતા ટકાવી રાખવા સમાજની એકતા મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.