દીવ જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ અધ્યક્ષ લક્ષ્મીબેન મોહન તથા એ.ડી.એમ. વિવેક કુમાર સહિત અધિકારીઓ, જિલ્લા પંચાયત સભ્યો, સરપંચોની રહેલી વિશેષ ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.17 : આજે દીવના સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગૃહ પ્રવેશની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું બાંધકામ પૂર્ણ થતાં આજે દીવ જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન તેમજ એ.ડી.એમ.શ્રી વિવેક કુમાર, વિકાસ ઘટક અધિકારી શ્રી ધર્મેશ દમણિયા, પંચાયતના વિસ્તરણ અધિકારી શ્રી રાણેશ બારિયા તથા જિલ્લા પંચાયતના સભ્યો, 7 ગ્રામ પંચાયતોના સરપંચો, પંચાયતના સભ્યો વગેરેની હાજરીમાં રિબિન કાપી બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે લાભાર્થીઓને આનંદ-ઉલ્લાસ સાથે ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. બ્રાહ્મણોની વ્યવસ્થા સમસ્ત વાડી વિસ્તાર સમાજના પ્રમુખ શ્રી શંકરભાઈ બારિયા દ્વારા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને સરકાર તરફથી રૂા.2,40,000ની રાશી મળી હતી. જેમાં લાભાર્થીઓએ પોતાના પૈસાનો ઉપયોગ કરી ખુબ જ સુંદર અને રળિયામણાં ઘરનું નિર્માણ કર્યું હતું. લાભાર્થીઓનું પોતાના ઘરનું સ્વપ્ન હકીકત બની સાકાર થતાં તમામ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દિલથી આભાર પ્રગટ કર્યો હતો.