ખેડૂતોને આગળ વધારવા ગુજરાત સરકાર ઘણી મહેનત કરી રહી છે –
ખેડૂત જતિનભાઈ
આંબા પાકમાં જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી કેરીનું વધુ અને શુદ્ધ ઉત્પાદન: આંબા કલમના સારા સ્વાસ્થ્ય માટે આધુનિક રીતે પ્રુનિંગ, રૂટ હાર્વેસ્ટિંગ અને ડ્રેન્ચિંગ કરે છે: ડાંગર, શાકભાજી અને કઠોળ જેવી દરેક ખેતીમાં માત્ર દેશી પ્રકારની ખેત બિયારણનું વાવેતર
એફપીઓ મારફતે ખેત પેદાશોનું લોકલ બજારમાં સારા ભાવે વેચાણ દ્વારા સારી આવક
સંકલન – સલોની પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: ‘પ્રાકૃતિક ખેતી તમને સમૃદ્ધિની રાહ પર લઈ જશે..’ આ વાતને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખેડૂત જતિનભાઈ જ્યંતિલાલ પટેલ સાર્થક કરી રહ્યા છે. આજના યુવાઓને પ્રાકૃતિક ખેતી દ્વારા પણ સારી આવક મેળવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ ખેડૂતના મતે પ્રાકૃતિક ખેતી દ્વારા સારી આવક તો મેળવી જ શકાય છે સાથે સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણનું જતન પણ થાય છે અને સ્વાસ્થ્યદાયી ખેત ઉત્પાદન પણ મળે છે. તેઓ આજે તેમની આશરે ૫૪ એકર જેટલી જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વર્ષે રૂ. ૮ થી ૧૦ લાખના ખર્ચની સામે આશરે રૂ.૪૦ લાખ જેટલી આવક મેળવે છે. તેમણે આધુનિક ખેતી સાથે જોડાઈ પ્રુનિંગ, રૂટ હાર્વેસ્ટિંગ, ડ્રેન્ચિંગ, મિશ્રપાક અને આંતરપાક જેવી પદ્ધતિઓ અપનાવી છે. તેઓ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય બદલ તેઓ રાજ્ય સરકારનો આભાર માનતા કહે છે કે, ગુજરાત સરકાર ખેડૂતોને આગળ વધારવા ઘણી જ મહેનત કરી રહી છે.
જતિનભાઈના જણાવ્યા મુજબ, તેઓ વર્ષ ૨૦૧૭થી ગાંધીનગર ખાતે સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવ્યા બાદ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા હતા. આ સમય દરમિયાન તેઓ બહારથી જીવામૃત અને ઘન જીવામૃત જેવી પ્રાકૃતિક વસ્તુઓ લાવી ખેતી કરતા હતા. ત્યારબાદ તેમણે કુરૂક્ષેત્ર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી. તાલીમમાંથી પ્રાકૃતિક ખેતીનું સંપૂર્ણ જ્ઞાન લઈ તેમને દરેક પ્રાકૃતિક વસ્તુઓ જાતે જ બનાવવાની શરૂઆત કરી હતી. તેમની પાસે ૪ દેશી ગાય અને એક નંદી છે. જેના છાણ અને મુત્રથી તેઓ જીવામૃત, ઘન-જીવામૃત અને ગૌકૃપા-અમૃતમ બનાવી દરેક ખેતીમાં તેનો ઉપયોગ કરે છે. તેઓ અલગ અલગ પાક દીઠ આશરે ૧૦ થી ૧૨ હજાર જીવામૃત અને પૂરતા પ્રમાણમાં ઘન-જીવામૃત બનાવે છે. જીવામૃતનું ડ્રેંચિંગ અને ખેત કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરે છે. આંબા કલમના સારા આયુષ્ય માટે પ્રુનિંગની સાથે સાથે રૂટનું પણ હાર્વેસ્ટિંગ કરે છે. પોતાની ખેતીમાં તેના ઉપયોગ સિવાય બીજા ખેડૂતોને પણ આ વસ્તુઓ આપી પ્રાકૃતિક ખેતી સાથે જોડાવા પ્રેરણા આપે છે. આત્મા પ્રોજેક્ટ હેઠળ અન્ય ખેડૂતોને સંપૂર્ણ ગાય આધારિત ખેતીની તાલીમ પણ આપે છે.
જતિનભાઈ આશરે ૧૧૦૦ આંબા કલમ મારફતે કેરીનું ઉત્પાદન કરે છે. આ સિવાય તેઓ શેરડી, ડાંગર, તુવેર, ચણા, વાલ, ડુંગળી, હળદર તેમજ બીજા શાકભાજીનું વાવેતર કરે છે. આ તમામ ખેત પેદાશોનું પહેલા તેઓ છૂટક વેચાણ કરતા હતા. હવેથી તેમણે આ દરેક ખેત પેદાશોની એફપીઓ મારફતે વેચાણ કરવાની શરૂઆત કરી છે. દરેક ખેત પેદાશો દેશી પ્રકારની હોવાથી સારા ભાવે વેચાણ પણ થાય છે. આંબા પાકમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના છંટકાવમાં આશરે રૂ.૧૨ થી ૧૫ લાખનો ખર્ચ થાય છે જેની સામે સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક વસ્તુઓના વપરાશથી આ ખર્ચ ઘટીને માત્ર રૂ. ૩ થી ૪ લાખ સુધીનો જ થઈ જાય છે.
જતિનભાઈ આજના આધુનિક યુગમાં બદલાતા સમય સાથે માત્ર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા પગલે પગલું મેળવી સમૃદ્ધિની રાહે છે. ખેતી દ્વારા સારી આવક અને સારા ભવિષ્યનું નિર્માણ તો કરી જ રહ્યા છે સાથે સાથે યુવાઓને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાની પ્રેરણા પણ આપી રહ્યા છે..
વિવિધ દેશી ડાંગરના ચોખાનું રૂ. ૮૦ થી રૂ. ૧૫૦ પ્રતિ કિલો સુધી વેચાણ
જતિનભાઈ તેમના પરિવારે આશરે ૫૩ વર્ષથી સાચવી રાખેલા દેશી પ્રજાતિના ડાંગરનું વાવેતર કરે છે. સાથે સાથે બીજી પ્રજાતિઓ જેવી કે, લાલ કડા, ઈંદ્રાણી, કોલમ, આંબેમોર, મસૂરી, કૃષણ કમોદ (black rice) અને કદરૂનું ઉત્પાદન લઈ તેના ચોખાનું વિવિધ જાત પ્રમાણે રૂ.૮૦ થી રૂ.૧૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાણ કરે છે. ખાવામાં સારા હોવાથી પ્રતિદિનના વપરાશ માટે નવા ચોખાની જગ્યાએ એક વર્ષ જૂના ચોખાનું વેચાણ કરે છે.
જીવામૃત અને ઘન-જીવામૃત સાથે ગૌકૃપા અમૃતમ બનાવી વપરાશ
ગૌકૃપા અમૃતમ ગૌમૂત્ર અને બીજી અલગ અલગ વસ્તુઓના ઉપયોગથી બનાવવામાં આવે છે. હાલમાં જિલ્લમાં માત્ર જતિનભાઈ અને બીજ બે ખેડૂત જ આ ગૌકૃપા અમૃતમ બનાવી રહ્યા છે. કારણ કે, ગૌકૃપા અમૃતમ બનાવવા અલગ પ્રકારના બેક્ટેરિયાની જરૂર રહે છે જે ગીરની ગૌશાળામાંથી લાવવા પડે છે. તેઓ ત્યાંથી બેક્ટેરિયા લાવીને તેનું ઉત્પાદન કરી ખેતીમાં છંટકાવના ઉપયોગમાં લે છે. બીજા ખેડૂતોને ગૌકૃપા અમૃતમ અને જરૂર હોય તેને આ બેક્ટેરિયાનું પણ વિતરણ કરે છે.
આંબાવાડીમાં ઝાડની રિંગ ઉપર હળદરના વાવેતરથી આંબા કલમમાં નાઈટ્રોજનનું પ્રમાણ જળવાય છે