(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લામાં ટ્રેડ લાયસન્સ પોલિસી લાગુ છે, પરંતુ આ પ્રદેશનો ભાગ હોવા છતાં પણ સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ટ્રેડ લાયસન્સ વ્યવસ્થા અત્યાર સુધી લાગુ કરવામાં આવેલ નથી. જ્યારે વેપાર અને ઉદ્યોગના સંચાલન માટે ટ્રેડ લાયસન્સ અત્યંત આવશ્યક છે. તેથી સેલવાસ નગરપાલિકામાં પણ આ પોલિસી લાગુ કરવા માટે દાહના સામાજિક કાર્યકર્તા શ્રીસુધીર રમણ પાઠકે સેલવાસના ન.પા. ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદેને રજૂઆત કરી છે.
ટ્રેડ લાયસન્સ વ્યવસ્થા સરકારને પણ વેપારની ગતિવિધિ પર નજર રાખવામાં સહાયરૂપ બને છે. સાથે વેપારીઓને કાનૂની સુરક્ષા અને ઓળખ પણ મળે છે. આ લાયસન્સના મુખ્ય લાભોમાં ટ્રેડ લાયસન્સથી વ્યવસાયને આધિકારીક રીતે નોંધણી થાય છે. જેનાથી વેપારીઓને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થાય છે, દરેક વ્યવસાય અને એકમ સ્વચ્છતા અને પર્યાવરણના નિયમોનું પાલન કરે, જેનાથી નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ધ્યાન રાખી શકાય. ઉપરાંત વેપારીઓની વિવાદિત સ્થિતિમાં વ્યવસાય કાનૂન રૂપે સુરક્ષિત રહે છે અને કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહીથી બચી શકાય છે. વેપારીઓ દ્વારા યોગ્ય રીતે નોંધણી કરાવવાથી સરકારને પણ યોગ્ય રીતે કર અને રાજસ્વ પ્રાપ્ત થાય છે. જેનાથી પાલિકા વિસ્તારનો સુચારૂ અને સુઘડ વિકાસ થઈ શકે છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના દીવ જિલ્લામાં ટ્રેડ લાયસન્સ પોલિસી અગાઉથી જ લાગુ છે, આ વાત અચરજમાં નાખવા જેવી છે, જેથી પ્રશ્ન પણ ઉભો થાય છે કે, એક જ પ્રદેશ હોવા છતાં હજી સુધી સેલવાસ નગરપાલિકામાં ટ્રેડ લાયસન્સ પોલિસી શા માટે લાગુ કરવામાં આવેલ નથી..?
અત્રે યાદ રહે કે, સેલવાસને સ્માર્ટ સીટી ઘોષિત કરવામાં આવેલ છે.વળી સેલવાસ એક વિકસિત અને ઉભરતુ શહેર છે જ્યાં વેપાર અને ઉદ્યોગો નિરંતર વધી રહ્યા છે. જેથી અહીં પણ ટ્રેડ લાયસન્સ પોલિસી લાગુ કરવામાં આવે એ અતિ આવશ્યક છે. તેથી સામાજીક કાર્યકર્તા શ્રી સુધીર રમણ પાઠકે ન.પા. ચીફ ઓફિસરશ્રી સંગ્રામ શિંદેને સેલવાસ ન.પા. વિસ્તારમાં વહેલી તકે ટ્રેડ લાયસન્સ પોલિસી લાગુ કરવા માટે રજૂઆત કરે છે. જેથી દરેક વેપારી અને ઉદ્યોગપતિઓ પોતાનો વ્યવસાય કાયદાથી અને સુવ્યવસ્થિત રૂપે ચલાવી શકે, જેનાથી વેપારી વર્ગ સાથે પાલિકાને પણ કર અને રાજસ્વ પ્રાપ્ત થશે જેનાથી પાલિકાનો પણ વિકાસ સંભવ થઈ શકશે.