મોટો સંઘર્ષ ટાળવા આજીવિકાનો પ્રશ્ન હોવાથી દરિયામાં અમુક નોટિકલ માઈલ એરીયા સ્થાનિક માછીમારો માટે રિઝર્વ રાખવા રજૂઆત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે વલસાડ-નવસારી અને દમણના માછીમારો દરિયામાં માછીમારી કરી ગુજરાનચલાવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી સૌરાષ્ટ્રના માછીમારો દરિયામાં કબજો કરી સ્થાનિક માછીમારોની લાખોની જાળને નુકશાન કરી રહ્યા છે તેથી આજે બુધવારે માછીમારી વ્યવસ્થાપન ટ્રસ્ટના આગેવાનોએ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરી છે. સ્થાનિક માછીમારોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે.
વલસાડ-નવસારી અને દમણ વિસ્તારના હજારો માછીમારો પરિવારો માછીમારી કરી આજીવિકા ચલાવી રહ્યા છે. સ્થાનિક વિસ્તારના માછીમારોની 350 ઉપરાંત નાની મોટી બોટો માછીમારી કરવા દરિયામાં હોય છે. પરંતુ સૌરાષ્ટ્રના માછીમારો વલસાડ દરિયાઈ સિમામાં આવી માછીમારી કરી રહ્યા છે. સ્થાનિક માછીમારોની કિંમતી જાળોને નુકશાન કરી રહ્યા છે. આ સમસ્યા વર્ષોની છે. સ્થાનિક માછીમારોએ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. તેથી માછીમારોએ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માગણી કરી છે. દરિયાના 90 નોટિકલ માઈલ પૈકી 30 નોટિકલ માઈલ સ્થાનિક માચીમારો માટે રિઝર્વ કરવામાં આવે તેવી એકબીજા વચ્ચે સંઘર્ષ ઉભો થાય નહિ. તેથી દરિયાની અંતરની સમસ્યાના સુખદ ઉકેલ લાવવાની માંગણી સ્થાનિક વલસાડ, દમણ-નવસારીના માછીમારો કરી રહ્યા છે.