– સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલ હજુ ઘણો લાંબો સમય સુધી રહી શકે એવી સ્થિતિહોવાથી ઓર વધુ સુધારણાં થવાની સંભાવના
– સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલા શુદ્ધિકરણ અભિયાનના પગલે પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પ્રજાને સમર્પિત નેતૃત્વને મોટા ભાગે મળેલી તક
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કરાયેલી નિયુક્તિ બાદ હવે તમામ અટકળોનો અંત આવ્યો છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાની ઘોષણા કરી ત્યારથી નવા મુખ્યમંત્રીની નિમણૂક થઈ ત્યાં સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કેટલાક ખાસ સ્થાપિત હિતો પ્રાર્થના કરતા હતા કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની નિમણૂક થવી જોઈએ. આ ખાસ લોકોને શ્રી પ્રફુલભાઈ પટેલ યેન કેન રીતે અહીંથી જાય તેમાં રસ હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણ એક દિવસ જશે. આ પદ કોઈ કાયમી નથી. પરંતુ હજુ એકાદ-બે વર્ષ શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પદે રહેવા જ જોઈએ એવું માનવાવાળાની ઘણી મોટી બહુમતિ છે. કારણ કે, છેલ્લા 50 વર્ષમાં જે કાયાપલટ નથી થઈ તે માત્ર પાંચ વર્ષમાં કરી બતાવી છે અને તે પણ વરસો સુધી ટકે તેવી છે, લોકોના જીવનની સુધારણા થઈ છે અને સંસ્કારનું ઘડતર પણ થયું છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલેપોતાની આવડત અને વહીવટી કૂનેહથી ઘણાં અસંભવ કામો સંભવ કરી શક્યા છે. એક મુખ્યમંત્રી પાસે જે વહીવટી કૌશલ્ય હોવું જોઈએ તે તેમની પાસે છે, કેન્દ્રીય મંત્રી પાસે જે દીર્ઘદૃષ્ટિ હોવી જોઈએ તે પણ તેમની પાસે છે, રાજ્યના રાજ્યપાલ પાસે જે શાલીનતા હોવી જોઈએ તે પણ તેઓ ધરાવે છે અને એક વ્યક્તિ તરીકે જે ઉમદા ગુણ હોવા જોઈએ તે તમામ ગુણોના ધણી પણ શ્રી પ્રફુલભાઈ પટેલ છે. જેના કારણે જ આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ડંકો રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે વાગી રહ્યો છે. મોટા રાજ્યો કરતા નાના પ્રદેશોની સમસ્યા અનેકગણી હોય છે. નાના પ્રદેશોમાં કોઈ વાત છાની રહેતી નથી અને નાનામાં નાના કામ ઉપર પણ નજર રહેતી હોય છે. તેવી સ્થિતિમાં પણ પ્રદેશના વિકાસને બુલંદી ઉપર લઈ જવું એ ખુબ મોટો પડકાર છે. આ પડકારને ઝીલી શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી છે એનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી.
હાલમાં લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ફરજ બજાવતા મૂળ દમણના આઈ.આર.બી.ના એક જવાન સાથે વાતચીત થઈ. તેમણે જણાવ્યું કે, પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ પહેલી વખત લક્ષદ્વીપના લોકો કાયદાના રાજને માન આપતા થયા છે અને કાયદાનું પાલન કરવા પ્રેરિત બન્યા છે. ટૂંકમાં દેશના લગભગ તમામકેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થિતિ લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ જેવી જ છે. કારણ કે, છેલ્લા પાંચ વર્ષ સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ કેટલાક ચોક્કસ લોકો કાયદો પોતાના ખિસ્સામાં લઈને ફરતા હતા.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ હજુ એક યા બે વર્ષ સુધી એટલા માટે રહેવા જોઈએ કે તેમણે શરૂ કરેલા રિફોર્મ(સુધારા) હજુ શરૂઆતના દોરમાં છે. પ્રદેશમાં પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મોટાભાગે પ્રજાને સમર્પિત નેતૃત્વને તક મળી છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચૂંટણીના સમયે વહેંચાતા દારૂ ઉપર રોક લાગી છે. હજુ પૈસા વહેંચવાનું કલ્ચર દૂર થયું નથી. પરંતુ શ્રી પ્રફુલભાઈ પટેલ હજુ થોડા સમય પ્રશાસક તરીકે રહેશે તો પૈસાનું કલ્ચર પણ બંધ થઈ જશે એવો અમને વિશ્વાસ છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના એવા પહેલા પ્રધાનમંત્રી છે કે જેઓ નાના તાલુકા કસબાથી માંડી મોટા રાજ્યોની સ્થિતિ, ત્યાંની જરૂરિયાત અને પ્રવાહોની ઝીણામાં ઝીણી માહિતીથી પણ વાકેફ રહે છે અને જ્યાં સુધારાની જરૂરિયાત હોય ત્યાં તાત્કાલિક સુધારણા કરવા પણ તત્પર રહે છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ ગતિવિધિના શ્રી નરેન્દ્રભાઈ મોદી ખુબ નજીકથી જાણકાર છે. જેના કારણે જતેમણે શરૂ કરેલા ઉપચારથી આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ રાષ્ટ્રમાં પણ બીજા વિકસિત પ્રદેશોની હરોળમાં બેસી શકે એવા સક્ષમ બની રહ્યા છે.
પ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ હજુ ઘણો લાંબો સમય સુધી રહી શકે એવી સ્થિતિ હોવાથી ઓર વધુ સુધારણાં થવાની સંભાવના છે.
સોમવારનું સત્ય
દમણ જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પહેલી વખત માત્ર એક સમિતિને બાદ કરતા તમામ સમિતિઓના અધ્યક્ષ પદે મહિલાઓની વરણી થઈ છે. દમણ જિલ્લા પંચાયત મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધી ચુક્યું છે. જેનો શ્રેય પણ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ફાળે જાય છે.