નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને જેટકોના અધિક્ષક ઈજનેર
પી.એન. પટેલને હસ્તે બસનું પ્રસ્થાન કરાવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી નજીક આવેલ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબીટીલીટેશન સેન્ટર નામની શાળામાં વાપીથી શાળાએ જતા બાળકો માટે બસની સુવિધાની જરૂરીયાત હતી. જે ધ્યાને આવ્યા બાદ જેટકો દ્વારા સી.એસ.આર. ફંડ હેઠળ 58 લાખ રૂપિયા મંજુર કરીને દિવ્યાંગ વાહનની આજે ભેટ આપવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને નવસારી જેટકો વિભાગના અધિક્ષક ઈજનેર પી.એન. પટેલના હસ્તે બસનું પ્રસ્થાન કરાવાયું હતું.
આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિતશાળામાં સ્પે.ચાઈલ્ડ કેટેગરીમાં મુકબધિર, માનસિક વિકલાંગ બાળકોને શિક્ષણ સહિત વ્યવસાયિક તાલીમ આપી પગભર કરે છે. વાપીથી શાળાએ જતા આવતા બાળકોને બસની જરૂરીયાત હતી. જે સુવિધા જેટકોએ આજે પુરી પાડી પોતાનું સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. અધિક્ષક ઈજનેર પી.એન. પટેલે જણાવ્યું હતું કે, સી.એસ.આર. ફંડ હેઠળ સામાજીક પ્રવૃત્તિ કરવામાં આવે છે. તે અંતર્ગત શાળાને બસ અને કમ્પાઉન્ડ વોલ પુરી પાડવા માટે 58 લાખનું ફંડ મંજુર કર્યું છે. આ બસ સેવા માટે મહેશ્વરી લોજીસ્ટીક દ્વારા પણ જરૂરી સેવા પુરી પડાઈ છે. આ પ્રસંગે અંબામાતા મંદિરેથી બસનું પ્રસ્થાન કરાયું હતું. કાર્યક્રમમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ સહિત પાલિકા પ્રમુખ, નગર સેવકો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.