(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.11 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાંકબારાના દરિયામાં ખરાબ વાતાવરણના કારણે એક બોટે મધદરિયે જળ સમાધી લીધી હતી. બોટ નંબર IND-02-MM-192 જેના માલિક માલિક ચંદ્રકાન્ત ગીવાનીની દેવ સાગર નામની બોટ જે આશરે વણાંકબારાથી મધદરિયે 40 થી 45 કિ.મી દૂર હતી ત્યારે ખરાબ વાતાવરણનો ભોગ બનતાં જળ સમાધી લીધી હતી, જેમાં બોટ માલિકને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેવ સાગર બોટના માલિક અને ટંડેલ ચંદ્રકાંત ગીવા તથા તેમની સાથે બીજા સાત જેટલા ખલાસી કિનારે આવવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન બોટમાં પાણી ભરાતા તેઓએ બોટમાંથી પાણી કાઢવાની કોશિશ કરી પરંતુ બોટમાં પાણી વધુ ને વધુ ભરાતા બોટ ડુબવા લાગી હતી ત્યારે બાજુમાં રહેલી બીજી બોટોનો સંપર્ક કરી બોટ ડૂબી રહી હોવાની માહિતી આપી હતી. તેથી દરીયામાં રહેલ અન્ય બોટોએ દેવ સાગર બોટમાં રહેલા ખલાસીઓનો આબાદ બચાવ કરી સહિ સલામત વણાંકબારા જેટી પર લાવવામાં આવ્યા હતા.
બોટે જળસમાધી લેતાં માલિકે દીવ જિલ્લા પ્રશાસન પાસે સહાયનીનમ્ર અરજી કરી છે. જેથી તેઓ તેમને થયેલ નુકસાની ભરપાઈ કરી શકે અને પોતાનો જીવન ગુજારો કરી શકે. આ ઘટનાની જાણ ફિશરીઝ વિભાગને થતાં ફિશરીઝ વિભાગના કર્મચારીઓ પણ વણાંકબારા જેટી પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.