..જ્યારે ઠેર ઠેર રોકાયો વિકાસઃ આમજનતા પરેશાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : દાદરા નગર હવેલીમાં છેલ્લા ઘણાં સમયથી ઠેર ઠેર વિકાસના કામોનો આરંભ કરી દેવામાં આવેલ છે. પરંતુ મોટાભાગના કામો સમયસર પૂર્ણ થઈ રહ્યા નથી, અને વિવિધ સ્થળોએ અધૂરા કામો એમના એમ પડી રહ્યા છે. દેશમાં પ્રધાનમંત્રીશ્રીની પહેલ મુજબ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા વિકાસના નામે શહેરમાં વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને ઠેકઠેકાણે વિકાસ કામો હેઠળ ખોદકામ કરી રાખવામાં આવ્યા હોવાનું નજરે પડે છે. જેમાં સેલવાસમાં આમલી વિસ્તારથી લઈ ઝંડાચોક સુધી વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનું કામ ચાલી રહ્યું છે જે ગોકળ ગાયની જેમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આમલી હનુમાનજી મંદિર વિસ્તાર પાલિકા કચેરી તરફના રસ્તા પર અધુરા કામના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરવા મજબૂર બની રહ્યા છે, સાથે ગાયત્રી મંદિર નજીક વડનું ઝાડ જે કોઈપણ રીતે કોઈને પણ નડતર રૂપ નહીં હતું છતાં પણ તેને કાપી નાંખવામાં આવ્યું છે.
હાલમાં આમલીરોડ પરના શીતળ છાંયડો આપતા ઘટાદાર વૃક્ષો અને સેલવાસ પોલીસ હેડક્વાર્ટર નજીક આવેલા હનુમાનજીનું મંદિર પાસે વડનું ઝાડ છે જેની બાજુમાં જ તોતિંગ વરસો જૂનું પીપળાનું ઝાડ હતું જે ધગધગતી ગરમીમાં પશુ-પક્ષીઓ સહિત જાહેર લોકોને શીતળ છાંયડો આપતું હતું અને કોઈપણ પ્રકારે કોઈને પણ નડતરરૂપ ન હતું, છતાં એને પણ કાપી નાખવામાં આવ્યું છે એ પર્યાવરણ માટે કેટલું યોગ્ય છે..?
ઉપરાંત આ વર્ષો જૂનું વડનું ઝાડ શ્રદ્ધાનું પ્રતિક પણ હતું. અહીં મહિલાઓ પૂજા કરતી હતી, પરંતુ હાલમાં વિકાસના નામ પર તેનો નાશ કરી દેવામાં આવ્યો છે જે પ્રકૃતિ પ્રેમીઓ માટે ખુબ જ મોટા આંચકા સમાન લાગ્યું હોવા છતાં કોઈ પણ સંસ્થા કે આગેવાન જાગૃત લોકોએ તેને કાપતા રોકવાની કોશિશ પણ ન કરી. તેથી હવે ‘ક્લીન સેલવાસ, ગ્રીન સેલવાસ’ના નારાને બદલવાની જરૂર છે. નવાઈની વાત તો એ છે કે જે ઝાડ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ છે તેવા ઝાડોને પ્રશાસન દ્વારા હાથ પણ લગાડવામાં આવતો નથી અને જે વૃક્ષો ઓક્સિજન આપે છે, પ્રકળતિનું રક્ષણ કરે છે તેવા જ વૃક્ષોનો ભોગ લેવાયો છે.
અત્રે યાદ રહે કે, પ્રદેશમાં એક સમય એવો હતો કે જ્યાં જુઓ ત્યાં વડ અને પીપળાના વૃક્ષો જ જનરે પડતા હતા,પરંતુ હાલમાં સિમેન્ટ-કોંક્રિટના જંગલો ઉભા થવાને કારણે અને વિકાસના નામે વડ અને પીપળા જેવા ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. પરંતુ એ પણ યાદ રહે કે, ચૌમુખી વિકાસ માટે પ્રકળતિની જાળવણી પણ એટલી જ મહત્ત્વ છે. તેથી વિકાસના માટે બહુમૂલ્ય પ્રકળતિનો વિનાશ નહિ વિકાસ જ થવો જોઈએ.
સેલવાસના ઝંડા ચોક વિસ્તારમાં ચાલી રહેલા ગટર નિર્માણના કારણે સર્જાઈ રહેલી ટ્રાફિકની સમસ્યા
આમલી હનુમાન મંદિર પાસે શાળાનો વિદ્યાર્થી ખાડામાં પડી જતાં માથા-કપાળમાં થયેલી ઈજાઃ ઠેર ઠેર ખોદકામથી વિદ્યાર્થીઓ-વાલીઓને આવવા-જવા પડતી મુશ્કેલી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: સેલવાસ શહેરમાં ‘સ્માર્ટ સીટી’ નિર્માણ અંતર્ગત ઠેર ઠેર વિકાસના કામો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે શહેરના ઝંડા ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ગટર નિર્માણના કામના કારણે માર્ગ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે. જેના કારણે આ વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને આવવા-જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગટરના કામ માટે મુખ્ય માર્ગ એક બાજુથી ખોદવામાં આવ્યો છે, જેના કારણે વાહનવ્યવહાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાનાવિદ્યાર્થીઓને તેમજ તેમને લેવા-મુકવા આવતા વાલીઓ અને વાહનચાલકોને પણ ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે. આ શાળામાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ખુલ્લી ગટરમાં બાળકો પડી ન જાય એ બાબતને વહીવટી તંત્ર તથા કોન્ટ્રાક્ટરોએ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
આમલી હનુમાન મંદિર નજીક શાળાએ જતી વખતે એક વિદ્યાર્થી ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં પડી જતાં માથામા ઈજા થતાં લોહીલુહાણ બની ગયો હતો. માસૂમ નિર્દોષ વિદ્યાર્થીને ખાડામાં પડતા જોઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ એના ઘરે લઈ જવામાં આવ્યો હતો.