(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અને દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અરૂણ ગુપ્તા તથા વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજસિંહ પરમારના સહયોગથી આજે સવારે 10:00 વાગ્યે ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે દાનહ જિલ્લા પંચાયત દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને ચોથા ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, દાનહ જિ.પં. અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, પૂર્વ જિ.પં. અધ્યક્ષ શ્રીમતી નિશાબેન ભવરની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
દાનહ જિલ્લા પંચાયત દ્વારા ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે આયોજીત કાર્યક્રમમાં સૌપ્રથમ બિહારના જમુઈમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સંબોધનનું જીવંત પ્રસારણકરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રગટાવીને અને ભગવાન બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે દાનહ જિ.પં.ના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી નિશાબેન ભવરે ભગવાન બિરસા મુંડાજીના જીવન વિશે પ્રાસ્તાવિક પ્રવચન આપ્યું હતું અને ત્યારબાદ ખાનવેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત તારપા નૃત્ય અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે ખાનવેલના ચૌડા ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અરુણ ગુપ્તા, દાદરા નગર હવેલી જિલ્લા વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજસિંહ પરમાર, તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તમામ સરપંચો, તમામ વોર્ડ સભ્યો, ગ્રામ પંચાયતોના પંચાયત મંત્રીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં દાનહના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આજે ‘આદિવાસી ગૌરવ દિવસ 2024′ કાર્યક્રમ અંતર્ગત ખાનવેલ ગ્રામ પંચાયતમાં સ્વસહાય જૂથની બહેનો અને આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ નિવારણ કેમ્પ અને વારલી આર્ટ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
