27 વર્ષિય પરપ્રાંતિય યુવાન વાપીની કોઈક કંપનીમાં કામ કરતો અને આંટિયાવાડની એક ચાલીમાં રહેતો, જ્યાં પડોશમાં રહેતા એક પરિવાર સાથે રોજ ઝઘડો કરતો હોવાથી કંટાળીને સગીરે હત્યા કરી હોવાનું પડોશીઓનું અનુમાન
દાભેલ પોલીસે એફ.આઈ.આર. નોંધી હાથ ધરેલી વધુ તપાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : નાની દમણના આંટિયાવાડમાં એક ગંભીર હત્યાનો કેસ સામે આવવા પામ્યો છે, જેમાં એક લગભગ 15 વર્ષિય સગીરે 27 વર્ષિય યુવાન નઈમ ખાનની કાતર(કૈંચી) જેવા તિક્ષ્ણ ધારવાળા હથિયાર વડે હૂમલો કરી હત્યા નિપજાવી હોવાની ચકચારી ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નઈમ ખાન(આશરે ઉ.વ.27) જે મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ અને હાલમાં વાપીની એક કંપનીમાં કામ કરી રહ્યો હતો. જે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના દાભેલ-આંટિયાવાડ વિસ્તારની એક ચાલીમાં તેના મિત્ર સાથે રહેતો હતો. મંગળવારની રાત્રિના લગભગ 9:30 વાગ્યાના અરસામાં જ્યારે નઈમ ખાન પોતાના રૂમ પર આવ્યો તો પડોશમાં રહેતા સગીરની સાથે કોઈક કારણોસર ઝઘડો થયો હતો. જોતજોતાંમાં ઝઘડો વધુવણસ્યો હતો અને સગીરે ગુસ્સામાં આવીને કાતર જેવા કોઈક તિક્ષ્ણ ધારવાળા હથિયારથી નઈમ ખાન ઉપર 12 કરતાં વધુ વાર કરી દીધાં. લોહીથી લથપથ નઈમ ખાન ઘટનાસ્થળ ઉપર જ ઢળી પડયો.
તાત્કાલિક આ ઘટનાની જાણકારી પાડોશીઓએ દમણ પોલીસને આપી. દાભેલ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી ગઈ હતી અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સની મદદથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત નઈમ ખાનને મોટી દમણના સી.એચ.સી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે સગીરની ધરપકડ કરી અને તેની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક અને આરોપીના પરિવારના નિવેદનો પણ પોલીસે નોંધી લીધાં હતા. વલસાડથી એફ.એસ.એલ.ની ટીમે પણ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પાડોશી રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે નઈમ ખાન લાંબા સમયથી સગીરના પરિવાર સાથે ઝઘડો કરી રહ્યો હતો અને હંમેશા ગાળ-ગલોચ કરતો હતો. મંગળવારની રાત્રિના વિવાદનું કારણ પણ આજ હોઈ શકે છે એમ માનવામાં આવી રહ્યું છે. દમણમાં હત્યા જેવી ગંભીર ઘટના બાદ પણ દમણ પોલીસ ગંભીર નહીં હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. જો કે, પોલીસે એફ.આઈ.આર. નોંધી લીધી છે અને ઘટનાની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જેમાં પોલીસે પ્રત્યક્ષદર્શીઓનાનિવેદન લેવામાં આવી રહ્યા છે જેથી હત્યાનું સાચું કારણ જાણી શકાય.