સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ચલાવાતા વિવિધ કાર્યક્રમોમાં સહયોગ નહીં અપાતા લેવાયેલો નિર્ણય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 21
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ પદેથી શ્રી દિપક પ્રધાનને બર્ખાસ્ત કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. હવે શ્રી દિપક પ્રધાન ફક્ત જિલ્લા પંચાયત સભ્ય તરીકે કાર્યરત રહેશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસનદ્વારા ચલાવવામાં આવેલ વિવિધ કાર્યક્રમોમાં સામેલ નહીં થતાં પંચાયતી રાજ સચિવ દ્વારા તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. જેનો ઉત્તર તેઓ સંતોષકારક રીતે નહીં આપી શકતા તેમને પોતાના ઉપ પ્રમુખ પદ ઉપરથી બર્ખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવેલ વિવિધ કાર્યક્રમોમાં શ્રી દિપક પ્રધાન ગેરહાજર રહ્યા હતા અને તેમને આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પોતાની કોઈ દિલચસ્પી પણ નહીં બતાવી હતી. જેનાથી તેમની સંવૈધાનિક અયોગ્યતા પ્રદર્શિત થતી હતી. આ તેમના અયોગ્ય કાર્યોના કારણે 1 સપ્ટેમ્બર 2021ના રોજ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાનને કારણદર્શક નોટિસ પંચાયતી રાજ સચિવ દ્વારા જારી કરવામાં આવી હતી. જેના માટે 20 સપ્ટેમ્બર સુધી પોતાનો જવાબ પ્રસ્તુત કરવા શ્રી દિપક પ્રધાનને જણાવાયું હતું. શ્રી દિપક પ્રધાને પોતાનો બચાવ રજૂ કર્યો હતો પરંતુ તે પર્યાપ્ત નહીં લાગતા તેમને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો હતો.
મળતી માહિતી પ્રમાણે શ્રી દિપક પ્રધાને પ્રશાસન દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને એક તરફી અને આ કાર્યક્રમોમાં સામેલ નહીં થવાનો નિર્ણય એક વ્યક્તિનો નહીં પરંતુ દરેક ચૂંટાયેલા સભ્યોનો સામુહિક હોવાનો મત વ્યક્ત કર્યો છે. પ્રશાસને રાજનૈતિક બદલાનીભાવનાથી ફક્ત તેમને જ નિશાન બનાવાયા હોવાની લાગણી પણ વ્યક્ત કરી છે.