(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21
હિન્દુ સ્મશાન ભૂમિ ભીતવાડી મોટી દમણમાં ભગવાન શિવની 51 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવા અને હિન્દુ સ્મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવકથામાં શનિવાર તા.20મી નવેમ્બરના રોજ પોથીયાત્રા નિકળી હતી. મુખ્ય યજમાન શ્રીમતી મિનલબેનજગદીશભાઈ પટેલ અને શ્રી જગદીશભાઈ ચીમનભાઈ પટેલના નિવાસસ્થાન ફલેટ નં.303,ફોર્ચ્યુન મરીના, મોટી દમણથી નિકળેલી પોથીયાત્રામાં રથ ઉપર બિરાજમાન કથાકાર શ્રી મેહુલભાઈ જાની (ખેરગામવાળા)ની આગળ શિવભક્તો ભગવાન શિવનું નામ લેતા લેતા મુખ્ય માર્ગ ઉપર નૃત્ય કરતા આગળ વધી કથા સ્થળે પહોંચી શિવઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો.
કથાકાર શ્રી મેહુલભાઈ જાનીએ સૌપ્રથમ કથા મંડપમાં ભક્તો દ્વારા મુકવામાં આવેલી પિતૃઓની તસવીરને પુષ્પાજલી અર્પણ કરી હતી. ત્યારબાદ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુ(વિકાસ) પટેલ, ઘેલવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હિતાક્ષી જિજ્ઞેશ પટેલ, દમણવાડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી મુકેશ ગોસાવી, આટિયાવાડ જિલ્લા પંચાયત સભ્ય સુનિતા હળપતિ તથા કથાના મુખ્ય યજમાન શ્રીમતી મિનલ પટેલ અને જગદીશભાઈ પટેલે દીપ પ્રાગટય ક્યું હતું.
આ અવસરે હિન્દુ સ્મશાન ભૂમિ મોટી દમણ સમિતિના શ્રી અશોકભાઈ રાણા, શ્રી ભરતભાઈ ભટ્ટ, શ્રી વાસુ પટેલ, શ્રી હિરા ટંડેલ, શ્રી પ્રમોદ રાણા, શ્રી જીવન માંગેલા, શ્રી કિશોર દમણિયા, ભરત સાગર, પ્રેમા પટેલ, વિષ્ણુ હળપતિ સહિતના પદાધિકારીઓ અને સભ્યોએ કથકાર શ્રી મેહુલભાઈ જાની (ખેરગામવાળા)નું સ્વાગત કર્યુ હતું. કથાકાર શ્રી મેહુલભાઈ જાનીએ ભગવાન શિવના મંત્રોચ્ચાર અને જયઘોષ સાથેકથાના આયોજન અને શિવ કથાનું મહત્વ વિશે જાણકારી આપી હતી. શ્રી મેહુલભાઈ જાનીએ કથાના પહેલા દિવસે જણાવ્યું હતું કે સમગ્ર દુનિયાનું સર્જન કરનાર ભગવાન શિવ પોતે સ્મશાનમાં રહેવાનું પસંદ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, મારા 35 વર્ષના આયુષ્યમાં મેં 203 કથા કરી છ પરંતુ પહેલી વખત ભગવાન શિવના પ્રિય સ્થળ સ્મશાન ઘાટ ઉપર શિવ કથા થઈ રહી છે. દુનિયામાં ફક્ત સ્મશાન ભૂમિ જ એવું સ્થળ છે જ્યાં મનુષ્યને થોડા સમય માટે વૈરાગ્ય પ્રાપ્ત થયા છે.
કથાકાર શ્રી મેહુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે, શિવ કથાના માધ્યમથી મહિલાઓને પહેલી વખત ભગવાન શિવના સ્થળ સ્મશાન ભૂમિ ખાતે કથા સાંભળવાનો મોકો મળ્યો છે. મોટી દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે શિવની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવા અંગે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 51 ફૂટ ઊંચી પ્રતિમા 1ર ઉંચા ફાઉન્ડેશન ઉપર સ્થાપિત થશે ત્યારે આવનારી ઘણી પેઢીઓ સુધી આ પ્રતિમાની સ્થાપનામાં સામેલ લોકોને યાદ કરવામાં આવશે. જ્યાં સુધી સુરજ, ચાંદ અને સમુદ્ર રહે ત્યાં સુધી ોમટી મદણના આ સમુદ્ર કિનારે ભગવાન શિવની પ્રતિમા પોતાના વિરાટ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપતી રહેશે.
અત્રે યાદ રહે કે મોટી દમણના સુંદર રામ સેતુ પાસેહિન્દુ સ્મશાન ભૂમિ છે. ભગવાન શિવની પ્રતિમા જ્યારે સ્થાપિત થશે ત્યારે આ સમગ્ર વિસ્તારની સુંદરતા ખીલી ઉઠશેનું જણાવ્યું હતું.
–