-
આજે વિવિધ 17 જેટલા કાર્યાન્વિત પ્રોજેક્ટોની મુલાકાત લઈ સમીક્ષા કરશે
-
પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મુલાકાતના પગલે જિલ્લા તંત્ર અને વિવિધ વિભાગો સતર્ક અને સક્રિય : કોઈ ત્રુટી નહી રહી જાય તેની લઈ રહેલા કાળજી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આવતી કાલથી ત્રણ દિવસીય દાદરાનગર હવેલી મુલાકાતનો આરંભ થઈ રહ્યો છે. તેમનું રાત્રિ રોકાણ પણ દાદરા નગર હવેલી ખાતે જ થવાનું છે અને અત્યારે કાર્યરત વિવિધ પ્રોજેક્ટોનું તેઓ નિરીક્ષણ કરી તેમની સમીક્ષા પણ કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલ તા.07મી જાન્યુઆરીના રોજ સવારના સત્રમાં અથાલ બ્રીજ, યાત્રિ નિવાસ ફલાયઓવર, પંચાયત માર્કેટ, સેન્ટ્રલ પાર્ક, દાદરા સ્કૂલ, દાદરા-તિઘરા રોડ, પિપરીયા ફલાય ઓવર, વેજીટેબલ માર્કેટ અને ઝંડાચોક સ્કૂલના કામકાજનું નિરીક્ષણ કરશે.
બપોરના સત્રમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગ, વેજીટેબલ માર્કેટ, સ્કાય વોક, ટોકરખાડા સ્કૂલ, મેડિકલ કોલેજ, પેરામેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને સાયલી સ્ટેડિયમનું નિરીક્ષણ કરી જરૂરી દિશા-નિર્દેશો પણ આપશે. રાત્રિ રોકાણ દમણગંગા સર્કિટ હાઉસ ખાતે તેઓ કરવાના હોવાનું જાણવા મળે છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાતના પગલે જિલ્લા તંત્ર ખુબજ સક્રિય બન્યું છે અને પીડબલ્યુડી, સિલવાસા સ્માર્ટ સીટી લિમીટેડ, (એસએસસીએલ), શિક્ષણ વિભાગ, પીડીએ, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત જેવા વિભાગો હરકતમાં આવ્યા છે અને પોતાના કાર્યમાં કોઈ ત્રુટી તો નહીં રહી ગઈ હોય અને પ્રશાસકશ્રીની બાજ નજર હેઠળ નહી આવે તેની કાળજીપણ લઈ રહ્યા છે.
શનિવારે પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લગભગ 17 જેટલા વિવિધ કાર્યાન્વિત પ્રોજેક્ટોની મુલાકાત લઈ તેની સમીક્ષા પણ કરશે.