(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04
ઘેજ-બીડથી ખેરગામ રોડને જોડતા માર્ગ સ્થિત વાડખાડી ઉપરના લો-લેવલના માઇનોર બ્રિજ ઉપર ચોમાસામાં વધુ વરસાદના સમયે પાણી ફરી વળતા માર્ગ પરનો વાહન વ્યવહાર અટકી જતો હોય છે અને આ માર્ગ આ વિસ્તારના લોકો માટે જીવાદોરી સમન હોય પૂરતી ઊંચાઈ વાળા નવા પુલના નિર્માણ માટે સ્થાનિકો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે.
જેને લઈને આજરોજ બાંધકામ સમિતિના અધ્યક્ષદિપાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, ભાજપના આગેવાન અને એપીએમસી ચેરમેન કિશોરભાઈ શક્તિ કેન્દ્રના પ્રમુખ અને પૂર્વ સરપંચ શ્રી વિનોદભાઈ, ગણદેવી સુગરના પૂર્વ ડિરેકટર શ્રી ચેતનભાઈ બીડના અગ્રણી શ્રી ભુપતભાઈ સહિતનાઓ સાથે વાડખાડીના ડૂબાઉ પુલનું નિરીક્ષણ કરી નવા પુલના નિર્માણ માટે માર્ગ મકાન વિભાગ પાસે જરૂરી દરખાસ્ત કરી આગળની કાર્યવાહી માટે હૈયાધરપત આપી હતી.
આ ઉપરાંત અધ્યક્ષ દિપાબેન પટેલે ઘેજ મોટા ડુંભરીયામાં નવીનીકરણ થઈ રહેલા મુખ્યમાર્ગની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કરી કામમાં ગુણવત્તા જાળવવા અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરાવવા માર્ગ મકાન વિભાગના ઇજનેરોને તાકીદ કરી હતી.ઉપરોક્ત માર્ગનું નવીનીકરણનું કામ લાંબા સમયથી મંથર ગતિએ ચાલી રહ્યું છે અને જેને પગલે સ્થનિકોએ હાલાકી વેઠવી પડી રહી છે. જે અંગેની રજૂઆતને પગલે બાંધકામ અધ્યક્ષ દિપાબેન અને કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ સહિતનાઓએ સ્થળ મુલાકાત કરી કામ ઝડપભેર પૂર્ણ થાય તે માટે સૂચના આપી હતી.