(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.15
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવનાં સમાજ કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રીમતિ પૂજા જૈન તેમજ દીવ જિલ્લા સમાહર્તા શ્રીમતિ સલોની રાયના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ તેમજ દીવ જિલ્લાના અધિક જિલ્લાધીશ ડૉ.વિવેક કુમાર, મામલતદાર શ્રી ચંદ્રાહાસ વાજા, આરોગ્ય અધિકારી ડૉ. કાસીમ સુલતાન, સરકારી હોસ્પિટલના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ ડૉ. અજય શર્મા તેમજ અલીમ્કો, જબલપુરના પ્રતિનિધિ શૈફાલી રાતુરી વગેરે અતિથિઓની ઉપસ્થિતિમાં સમાજ કલ્યાણ વિભાગ દમણ, ભારતીય કળત્રિમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો), જબલપુર તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવના સંયુક્ત પ્રયાસોથી રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રી વિતરણ કરવા માટે વાત્સલ્ય વિશિષ્ટ શાળાના પરિસરમાં શિબીરનું આયોજન કરવામાં આવેલ હતું.
અગાઉ આયોજન કરવામાં આવેલ મૂલ્યાંકન શિબિરમાં વિવિધ નિષ્ણાંતો દ્વારા વરિષ્ઠ નાગરિકોનું મૂલ્યાંકન કરવામાં આવેલ હતું. જેમાં નિષ્ણાંતો દ્વારા વરિષ્ઠ નાગરિકોને વિવિધ સહાયક સાધન સામગ્રીઓ સૂચિત કરવામાં આવેલ. જે અનુસંધાનમાં આજરોજ વિવિધ સહાયક સાધન સામગ્રી જેમ કે, વ્હીલચેર વિથ કમોડ, ચેર વિથ કમોડ, ચશ્માં, દાતનું ચોખઠું, કાનનું મશીન, ટેટ્રાપોડ, ટ્રાઈ પોડ, સિલીકોન ફોમ કુશન, વોકર, ફૂટ કેર યુનિટ, કમરના બેલ્ટ, ગોઠણના બેલ્ટ વગેરે જેવી વિવિધ સહાયક સાધન સામગ્રી વિતરણ કરવા શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. કુલ 265 લાભાર્થીઓમાંથી આજરોજ શહેરી વિસ્તારના લગભગ 157 જેટલાવરિષ્ઠ નાગરિકોએ આ શિબિરના માધ્યમથી વિવિધ સહાયક સાધન સામગ્રી પ્રાપ્ત કરેલ. આવતીકાલે ગ્રામ્ય વિસ્તારના વરિષ્ઠ નાગરીકો માટે સાઉદવાડી માધ્યમિક શાળાના પ્રાંગણમાં સહાયક સાધન સામગ્રી વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. આ શિબિરમાં આમંત્રિત અતિથિઓ તેમજ વરિષ્ઠ નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દીવ પ્રશાસન દ્વારા આયોજિત આ શિબિરને સફળ બનાવવામાં પોતાનો સહયોગ અને યોગદાન આપેલ હતું.