ઢાંકવળથી નાદગામ અવર-જવર કરવા લોકોને 10 કિ.મી.નો ચકરાવો મારવો પડે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: ધરમપુર-કપરાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાએ ભારે તારાજી સર્જી છે અને કોઝવે, પુલ, રસ્તા તણાઈ ગયા છે કે તૂટીગયા છે. પરિણામે સ્થાનિક ગ્રામજનોને માટે અનેક વિસ્તારોમાં અવર-જવર માટે ભારે પેચીદી સમસ્યાઓ ઠેર-ઠેર સર્જાઈ રહી છે. તેવી સમસ્યા ધરમપુર તાલુકો અને કપરાડા તાલુકાને જોડતો ઢાંકવણ અને નાદગામ વચ્ચે આવેલો પુલ તૂટી જવા પામ્યો છે. તેથી બન્ને ગામો વચ્ચેની અવર-જવરની મુશ્કેલીઓ ઉભી થઈ ચૂકી છે.
ધરમપુર અને કપરાડાને સંકલિત કરતો ઢાંકવળ અને નાદગામ વચ્ચેનો એકમાત્ર મહત્ત્વનો પુલ હતો જે વરસાદમાં તૂટી ધોવાઈ ગયો છે. જેને લીધે બન્ને ગામો વચ્ચે અવર-જવર કરવા લોકોએ માત્ર બે કિ.મી. અંતર કાપવા ફરી ચક્રાવો 10 કિ.મી.નો મારવો પડે છે. આ સમસ્યા અંગે ઉચ્ચ સ્તરે ધરમપુર તા.પં.ના સભ્ય કલ્પેશ પટેલએ ઉચ્ચ રજૂઆત કરીને માંગણી કરી છે કે વહેલી તકે તંત્ર સમસ્યાનો અંત લાવે.