કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રાંત, પોલીસ અધિકારી અને વી.આઈ.એ. હોદ્દેદારોએ ટ્રાફિક ઉકેલની ચર્ચા સાથે નિર્ણયો લેવા મળેલી બેઠક
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વાપી રેલવેનો બ્રિજ નવો બનવાનો હોવાથી જુનો બ્રીજ બંધ કરી બ્રિજની તોડવાની કામગીરી આરંભાઈ ચુકી છે. આ સંદર્ભે વાપીમાં ઉદ્દભવી રહેલ ટ્રાફિક સમસ્યાના યોગ્ય નિરાકરણ માટે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
વાપીમાં ઉદ્દભવી રહેલ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ મીટિંગમાં એસ.પી. ઝાલા, ડી.વાય.એસ.પી. દવે, પ્રાંત અધિકારી વસાવા, આર. એન્ડ બી. ના એક્ઝીક્યુટીવ એન્જિનિયર એન.એન. પટેલ, પાલિકા ટી.પી. પ્લનાર કલ્પેશ શાહ, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ, સેક્રેટરી સતિષભાઈ, નોટીફાઈડ ભાજપ પ્રમુખહેમંત પટેલ, એડવાઈઝરી બોર્ડના મિલનભાઈ દેસાઈ, યોગેશ કાબરીયા વિગેરે જોડાયા હતા. ટ્રાફિક સંતુલન કરવાના મીટિંગમાં લેવાયેલ નિર્ણયોમાં બલીઠા-વાપી, નામધા તરફ જતા રોડને પહોળો કરવો, ફાટકથી કબ્રસ્તાન નવિન રોડ પાલિકા તાત્કાલિક બનાવે, બ્રહ્મદેવ મંદિરથી છીરી જતો રોડ પંચાયત વિભાગ બનાવશે. દમણ-બલીઠા ફાટકથી આવતા વાહનો માટે સલવાવ સુધીનો સર્વિસ રોડ પહોળો બનાવવો તેમજ કોસ્ટલ હાઈવે મરામતની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવી જેવા અનેક નિર્ણયો ઉચ્ચ સ્તરીય મળેલ મીટિંગમાં લેવાયા હતા.