શાળા છોડી ગયેલા બાળકોનું કાઉન્સેલિંગ કરી પુનઃ પ્રવેશ આપવાનો શુભારંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.19
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સંકલિત બાળ વિકાસ યોજના, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી, વલસાડ દ્વારા પ્રાથમિક વિભાગ તથા માધ્યમિક વિભાગોમાંથી શાળા છોડેલા વલસાડ જિલ્લાના 6279 બાળકોની પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવી હતી. આ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ આપવા અર્થે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સબંધિત તાલુકાના નોડલ અધિકારી, સબંધિત ગામોના પ્રાથમિક/ માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક/ આચાર્ય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે મીટીંગ કરવામાં આવી હતી. આ મીટીંગમાં ડ્રોપઆઉટ થયેલા દરેક બાળકોના ઘરે-ઘરે મુલાકાત યોજી શાળામાં પુનઃ પ્રવેશ માટે ખરેખર પાત્રતા ધરાવતા બાળકોનો વાસ્તવિક સર્વે કરાવવાનું અને તેવા બાળકોને શાળામાં પુનઃપ્રવેશ માટે વિદ્યાર્થી તથાવાલીને કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા વલસાડ તાલુકાની ઉપલબ્ધ યાદી પૈકીના 361 બાળકો પૈકી વલસાડ શહેરના અબ્રામા વિસ્તારના 23 બાળકોના ઘરે મુલાકાત લેવાનું નક્કી કર્યું અને ધોરણ 1 થી 12 સુધીના મંદિર ફળિયા વિસ્તારના ડ્રોપ આઉટ થયેલા માનસી રાઠોડ, ખુશી રાઠોડ, અનામિકા રાઠોડનું કાઉન્સેલિંગની શરૂઆત કરાવી હતી. અબ્રામા માધ્યમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલે કાઉન્સેલિંગ બાળકોને પુનઃપ્રવેશ તથા અન્ય સહકાર આપવા બાહેધરી આપી હતી. કાઉન્સેલિંગ કરેલા બાળકોના વાલીઓ કપરી પરિસ્થિતિના હોવા છતાં બાળકોને આગળનો અભ્યાસ પૂર્ણ કરાવવા ઉત્સાહપૂર્વક સંમત થયા હતા. એ ખુશી સાથે શાળાપ્રવેશ શુભારંભ કરવામાં આવ્યો હતો. વલસાડ તાલુકાના નોડલ અધિકારીએ 361 પૈકી 250 ઉપરાંત બાળકોને શાળામાં પુનઃપ્રવેશ અપાવવાની ખાતરી આપી અને ડ્રોપ આઉટ બાળકોના પુનઃ શાળાપ્રવેશ અભિયાનનો મંગલ શુભારંભ થયો હતો.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રોગ્રામ ઓફિસર, મહિલા અને બાળવિકાસ અધિકારી અને તાલુકાના હેલ્થ ઓફિસર, પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષકો તથા ફળિયાના ગ્રામજનો હાજર રહ્યા હતા.