કાયદાઓ આર્થિક પ્રવૃત્તિઓના સંચાલન માટે માળખું બનાવે છે જ્યારે અર્થશાષાના સિદ્ધાંતો ઈચ્છિત પરિણામો હાંસલ કરવામાં કાયદાકીય અમલીકરણ પદ્ધતિઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી શકે છેઃ પ્રો. (ડૉ.) સ્ટીફન મેચૌલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: કેનેડાની ડેલહાઉસી યુનિવર્સિટીના પ્રો. (ડૉ.) સ્ટીફન મેચૌલ ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU) સેલવાસ કેમ્પસના મહેમાન બન્યા હતા અને કાયદા અને અર્થશાષા વિષય પર ત્રણદિવસીય લેક્ચર સિરીઝના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રો. (ડૉ.) સ્ટીફન મેચૌલ અર્થશાષા, કાયદા અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં સમૃદ્ધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ આંતરરાષ્ટ્રીય અનુભવ સાથે અર્થશાષા અને કાયદાના ક્ષેત્રના જાણીતા નિષ્ણાત છે. તેમણે કાયદા, અર્થશાષા અને જાહેર નીતિ વચ્ચેના જટિલ સંબંધો પર વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા.
કાયદો અને અર્થશાષાની ક્રિયા-પ્રતિક્રિયા વિશે વિદ્યાર્થીઓને સમજાવતા પ્રો. (ડૉ.) સ્ટીફન મેચૌલે કહ્યું કે કાયદો, અર્થશાષા અને નીતિ (પોલિસી) ઊંડે એકબીજા સાથે જોડાયેલા ક્ષેત્રો છે જે જટિલ રીતે એકબીજાને પ્રભાવિત કરે છે. કાયદાઓ આર્થિક પ્રવૃત્તિઓના સંચાલન માટે માળખું બનાવે છે જ્યારે અર્થશાષાના સિદ્ધાંતો ઈચ્છિત પરિણામો હાંસલ કરવામાં કાયદાકીય અમલીકરણ પદ્ધતિઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, અર્થશાષાના ટૂલ્સ દ્વારા આર્થિક પૃથ્થકરણ બેરોજગારી, ફુગાવો, ગરીબી અને પર્યાવરણીય અધોગતિ જેવા વિવિધ સામાજિક મુદ્દાઓને ઉકેલવાના હેતુથી નીતિઓ ઘડવાનો આધાર પૂરો પાડે છે. વિવિધ નીતિગત હસ્તક્ષેપોની અસરની આગાહી કરવા માટે નીતિ નિર્માતાઓ ઘણીવાર આર્થિક મોડલ પર આધાર રાખે છે. જેમાં ખર્ચ-લાભ વિશ્લેષણ જેવા આર્થિક સાધનો નીતિ નિર્માતાઓને તેમના સંભવિત આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પરિણામોને ધ્યાનમાં રાખીને વિવિધ નીતિ વિકલ્પોના ગુણદોષનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. નીતિ નિર્માતાઓ ચોક્કસ નીતિએ તેના ધારેલા ઉદ્દેશો સિદ્ધ કર્યા છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા અને સુધારણા માટેના ક્ષેત્રોને ઓળખવા માટે અર્થશાસ્ત્ર સાધનોનો ઉપયોગ કરે છે. કાયદાઓ નીતિઓના અમલીકરણ માટે કાનૂની માળખું પૂરું પાડે છે. કાયદાઓ તેમને કાનૂની સત્તા આપીને નીતિઓને કાયદેસર બનાવી શકે છે. તેનાથી વિપરીત, સમયાંતરે નીતિઓ કાનૂની ધોરણો અને પ્રથાઓને આકાર આપી શકે છે, જે કાનૂની પ્રણાલીના ઉત્ક્રાંતિને પ્રભાવિત કરે છે.
એકંદરે, કાયદો, અર્થશાસ્ત્ર અને નીતિ વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયા ગતિશીલ અને બહુપક્ષીય છે, જેમાં દરેક ક્ષેત્ર અન્યને વિવિધ રીતે પ્રભાવિત કરે છે અને આકાર આપે છે જેમાં અસરકારક નીતિનિર્માણ અને શાસન માટે આ ક્રિયા-પ્રતિક્રિયાઓને સમજવી મહત્વપૂર્ણ છે.
આ અવસરે પ્રોફેસર સ્ટીફને આર્થિક વૃદ્ધિ, જીડીપી માપનની જટિલતાઓ અને અમેરિકન અને કેનેડિયન જીડીપી ગણતરીઓ વચ્ચેના સૂક્ષ્મ તફાવતો પર પણ પ્રકાશ પાડયો હતો અને સાથે સાથે પેપર મની, મોનેટરી સિસ્ટમ અને કોમર્શિયલ બેંકોના કાર્યો પણ સમજાવ્યા હતા.