કમ સે કમ જીવનમાં એક વખત દરેક માણસોએ રક્તદાન અવશ્ય કરવું જોઈએઃ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ પી.એચ.બનસોડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26: રાજ્ય કાનૂની સેવા સત્તાના ચેરપર્સન શ્રી પી.કે. શર્મા તથા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી પી.એચ.બનસોડની અધ્યક્ષતામાં આજે કાનૂની સેવા સત્તા દ્વારા દમણ બાર એસોસિએશનના સંયુક્ત પ્રયાસથી દમણ કોર્ટ પરિસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ કોર્ટ પરિસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિબિરનું ઉદ્ઘાટન મુખ્ય ન્યાયાધિશ શ્રી પી.કે.શર્મા અને બાર એસોસિએશનના સચિવ શ્રી બકુલ દેસાઈએ રિબિન કાપીને કર્યું હતું. આ રક્તદાન શિબિરના અવસરે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રીપી.એચ.બનસોડએ જણાવ્યું હતું કે, રક્તદાન મહાદાન છે. કમ સે કમ જીવનમાં એક વખત દરેક માણસોએ રક્તદાન અવશ્ય કરવું જોઈએ. શ્રી બનસોડએ કહ્યું કે આ સ્વભાવિક પ્રક્રિયા છે. લોહી શરીરમાં ફરીથી બની જાય છે. આનાથી ડરવું જોઈએ નહીં. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જીવનના રક્ષણ માટે આપણા સૌની નૈતિક જવાબદારી છે કે એ લોકોની મદદ કરીએ જેઓને લોહીની જરૂરિયાત છે. તેઓએ સાલસા તરફથી લોકોને અપીલ કરતા જણાવ્યું કે વધુમાં વધુ લોકોએ આગળ આવીને રક્તદાન કરવું જોઈએ, જેનાથી જરૂરિયાતમંદ લોકોને લોહીની ખોટ ન વર્તાય.
આ રક્તદાન શિબિરમાં જિલ્લા અને સત્ર ન્યાયાધિશ શ્રી પી.કે.શર્મા, ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી પી.એચ.બનસોડ ઉપરાંત દમણ બાર એસોસિએશનના સભ્યો અને કોર્ટના સ્ટાફે રક્તદાન કર્યું હતું. ઉપરાંત એ.પી.પી. શ્રીરામ દેશપાંડે, એડવોકેટ શ્રી જેસલ રાઠોડ, શ્રી સમીર મોડાસિયા, શ્રી ડી.એ.સૈલાર, શ્રી ધર્મપાલ ગોવાંડે, શ્રી સંજયભાઈ પાટિલ, પોલીસ કોન્સ્ટેબલ શ્રી હાર્દિક હળપતિ, શ્રી કિંજલભાઈ સહિત એક અન્ય વ્યક્તિએ પણ રક્તદાન કર્યું હતું.