સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિથી પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણના લગભગ તમામ દ્વારો ખુલતાં પ્રદેશના વિદ્યાર્થીઓનું સુરક્ષિત બનેલું શૈક્ષણિક ભવિષ્યઃ સરપંચ મુકેશ ગોસાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત શાળા પ્રવેશોત્સવ મહોત્સવ અંતર્ગત આજે દમણવાડાની ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ પહેલામાં પ્રવેશ લઈ રહેલા બાળકોનો ભવ્ય સત્કાર સાથે વર્ગખંડમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આયોજીત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત દમણની સરકારી કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો. ડી.સી.અગ્રવાલે ગદ્ગદિત થતાં જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમે તેમના શાળા દિવસોની યાદ અપાવી છે. તેમણે બાળકોના સુંદર ભવિષ્યની કામના કરવા સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વ ગુરૂ બનવા તરફ આદરેલી સફરની પણ જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આજે પહેલાં ધોરણમાં પ્રવેશ લઈ રહેલા બાળકોને અભિનંદન આપતાં ઉપસ્થિતરહેલા તેમના વાલીઓને જણાવ્યું હતું કે, આજથી તમારા બાળકનું શૈક્ષણિક ભવિષ્ય સુરક્ષિત થઈ ચુક્યું છે. કારણ કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિથી પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણના લગભગ તમામ દ્વારો ખુલી ચુક્યા છે. આજે પ્રવેશ લેતા બાળકો જ્યારે ધોરણ 12માં આવશે ત્યારે જો આ દૌર જળવાઈ રહ્યો તો દમણ-દીવ અને દાદરા નગર હવેલી સમગ્ર રાષ્ટ્રમાં એક શૈક્ષણિક હબ બની ચુક્યું હશે. તેમણે દમણવાડા સ્કૂલની પણ પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સમગ્ર પ્રદેશમાં દમણવાડા સ્કૂલનું પરિણામ છેલ્લા બે વર્ષથી અવ્વલ આવી રહ્યું છે. અહીં પ્રિન્સિપાલ, શિક્ષકો અને પંચાયત પણ બાળકોના ભવિષ્યના ઘડતર માટે સક્રિય છે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ઉપસ્થિત વાલીઓને વિનંતી કરતા જણાવ્યું હતું કે, આ પહેલાં ધોરણમાં આવેલા બાળકોને મોબાઈલની આદતથી દૂર રાખજો, તેમને રમવા અને મસ્તી કરવા ખુલ્લી છૂટ આપજો, પરંતુ મોબાઈલની આદત પડવા દેશો નહીં.
પ્રારંભમાં પહેલાં ધોરણમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમણે કંકુ-ચોખાના તિલક સાથે ફૂલડે વધાવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધોરણ 1 થી 12માં અવ્વલ આવેલા વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાંઆવ્યા હતા.
સરપંચ શ્રી મુકેશ ગોસાવી, દમણવાડાની બાળ ગંગાધર તિલક હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી હરેન્દ્ર પાઠક, દમણવાડાની ઉચ્ચ પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રીમતી પિનલબેન પટેલ, સ્કૂલ મેનેજમેન્ટ કમીટિના અધ્યક્ષ શ્રીમતી વનિતા યાદવ વગેરેએ શાળાના બાળકો સાથે તિથિ ભોજન પણ લીધું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં દમણવાડા ઉચ્ચ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી પિનલબેન પટેલના નેતૃત્વમાં ઉચ્ચ પ્રાથમિક અને હાયર સેકન્ડરી શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.