(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દિવાળી તહેવારના પાંચ દિવસોમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા સતત 24 કલાક સેવા કામગીરી ચાલુ રાખી હતી. જેમાં વધુ પડતા પેટના દુઃખાવા, અકસ્માતના કેસો અને ગર્ભવતી-પ્રસૂતિ વગેરેના કેસો વધારે જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતા કે અન્ય કારણોથી અકસ્માતે દાઝી જવા જેવા અનેક કેસો સામે આવતા હોય છે. તેના માટે સંઘપ્રદેશના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ઈમરજન્સી સેવાઓ માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો. સામાન્ય દિવસો કરતા તહેવારોના દિવસોમાં ઈમરજન્સી કેસોમાં વધારો થતો હોય જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આ વર્ષે દિવાળીના તહેવાર દરમ્યાન પેટને લગતી બીમારીના 151કેસો, એલર્જીના 05 કેસ, સર્પદંશના 20 કેસો, મારામારી અને ઝઘડા બાબતના 35 કેસો, વર્તનના 02, કાર્ડિયાક/કાર્ડિયો વેક્યુલરના 34, ડાયાબિટિશના 05, એપીલેપ્સીના 09 કેસ, તાવના 105 કેસો, દાઝી ગયેલાના 04 કેસો, નવજાતબાળકના 37 કેસ, આત્મહત્યાના પ્રયાસના બે કેસો, વિવિધ પ્રકારના 49 કેસો, ઝેરી દવા પીવાના 10 કેસો, મહિલાઓના ગર્ભાવસ્થા તથા પ્રસૂતિ વગેરે સબંધિત 199 કેસો, શ્વાસ લેવાની તકલીફના 76 કેસો, વાહનો પરથી પડી જવાથી 03 કેસ, અકસ્માતે પડી જવાના 123 કેસો અને બેભાન બનવાના 29 કેસો મળી કુલ 946 જેટલા કેસોનું દિવાળીના તહેવાર દરમ્યાન ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા વહન કરવામાં આવ્યું હતું.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કુલ 22 ઈમરજન્સી એમ્બ્યુલન્સ, 1 બોટ એમ્બ્યુલન્સ, 1 ફેરી બોટ એમ્બ્યુલન્સ અને ત્રણ બાઈક એમ્બ્યુલન્સ છે. જેના મારફત આખા વર્ષ દરમ્યાન અને ખાસ કરીને તહેવારો તથા મહત્વના દિવસો દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રજા પાડવા વગર પ્રદેશના લોકોની સેવા કરવામાં આવે છે.