ભારતમાં ફરી રામ રાજ્ય સ્થપાશે અને વિશ્વ ગુરુ બનવાની દિશામાં આપણો દેશ આગળ વધશે: મંત્રી કનુભાઈ દેસાઈ
વિવિધ યોજના હેઠળ ૬૯૪૪ લાભાર્થીઓને સહાય, કીટ અને ચેકનું વિતરણ કરાયું : સંગીત, રમત ગમત અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે નામના મેળવનારાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૩૦: “વડાપ્રધાનશ્રીએ સંકલ્પ કર્યો કે, સરકારની યોજનાઓના લાભો નાનામાં નાના લોકોને મળે તે માટેની આ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા છે. દરેકે દરેક માણસને આયુષ્યમાન કાર્ડ હોય કે જન ધન યોજના હોય કે આવાસ યોજના હોય, તમામ યોજનાનો લાભ મળશે તો તેઓના આશીર્વાદ તો મળશે જ સાથે સમગ્ર ભારત પણ વિકસિત બનશે. જેનાથી ભારતમાં ફરી રામ રાજ્ય સ્થપાશે અને વિશ્વ ગુરુ બનવાની દિશામાં આપણો દેશ આગળ વધશે.” એમ રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગામમાં આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન પ્રસંગે દિલ્હીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના લાભાર્થીઓ સાથેના વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, વન બંધુ યોજના, સાગર ખેડુત યોજના જેવી અનેક યોજનાઓ બનાવી એનો અમલ કરાવ્યો હતો, ત્યાર પછી સમગ્ર દેશે જ્યારે મોદીજીને દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારે એમણે આખા દેશને “સ્વચ્છ ભારત”નું સૂત્ર આપ્યું અને સાથે સાથે લોકોને લાભો સીધે સીધા એમના ખાતામાં મળે એ માટે જનધન યોજનામાં ખાતા ખોલાવ્યા, બહેનો માટે ગેસની સુવિધા આપી અને ડેરી ઉદ્યોગ મારફતે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. દુનિયાની સૌથી મોટી આરોગ્યની યોજના આયુષ્યમાન ભારતનો લોકોને લાભ મળી રહ્યો છે.
સંસદ સભ્ય ડો.કે.સી.પટેલે સ્વચ્છતા મિશન, પ્રધાનમંત્રી જન ધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ વિશે સૌને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાનશ્રીએ જમ્મુ કાશ્મીર, અરૂણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરી સરકારની યોજનાના લાભથી થયેલા ફાયદા જાણી દેશના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા બીલપુડી ગામે આવી પહોંચતા ગ્રામ પંચાયતના મેદાન પર આદિવાસી સંગીત સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આદિવાસી વિદ્યાર્થીઓએ લોક સંસ્કૃતિની ઓળખ સમાન ગણાતું નૃત્ય રજૂ કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ લોકોએ નિહાળ્યો હતો. સરકારની વિવિધ યોજનાના ૧૦ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેનો લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં વિવિધ યોજના હેઠળ ૬૯૪૪ લાભાર્થીઓને સહાય, કીટ અને ચેકનું વિતરણ કરાયું હતું. સંગીત ક્ષેત્રે તબલા વિશારદ અનંત માહલા, રમત ગમત ક્ષેત્રે દોડવીર નયના મિશાળ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે લીલાબેન બોરસટનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. જન આરોગ્ય યોજના અને આવાસ યોજનાના લાભાર્થીઓએ સાફ્લય ગાથા રજૂ કરી હતી. વિકસિત ભારતના સંકલ્પ અંગે સૌએ પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાર્થીનીઓએ “ધરતી કહે પુકાર કે…” નાટીકા રજૂ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ગણદેવીના ધારાસભ્ય અને સંકલ્પ યાત્રાના દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ નરેશભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, ઇન્ચાર્જ પ્રાયોજના વહીવટદાર આનંદુ સુરેશ ગોવિંદ, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ પિયુષ માહલા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ધરમપુરના પ્રાંત અધિકારી અમિત ચૌધરીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન હનુમતમાળ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પરમજીત કોંકણીએ કર્યું હતું.