પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતા ફંડમાં કપાત કર્યા વગર પૂર્ણ રકમ ચૂકવવા માટે લાભાર્થીઓએ કરેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : આજે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લીનાબેન પટેલની અધ્યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજનાઅંતર્ગત વર્ષ 2024-‘25ના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂર કરવા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી વંદનાબેન હરેન્દ્રભાઈ પટેલ, ઉપ સરપંચશ્રી, જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ગામના સેક્રેટરીશ્રી દ્વારા ગ્રામસભાની કાર્યસૂચિ અનુસાર ચાલુ વર્ષનું બજેટ અને ફિઝિકલ ફંડ યુટિલાઇઝેશન, યોજનાઓની કાર્યપ્રણાલી રજૂ કરી હતી અને આગામી વર્ષ 2024-‘25માં થનારા વિકાસ અંગેના એક્શન પ્લાનની ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગોમાંથી આવેલ અધિકારીઓએ પોતપોતાના વિભાગમાં હાલમાં લાગુ ભારત સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસનની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિત ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.
અત્રે આયોજીત ગ્રામસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા જે ફંડ આપવામાં આવે છે તેની રકમમાં ઘટાડો કરી દેતાં લાભાર્થીઓના આવાસોના નિર્માણ કાર્ય પૂર્ણ થઈ શક્યા નથી અને અધુરા રહી ગયા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. પી.એમ.આવાસ યોજનાના લાભાર્થીઓએ રજૂઆત સાથે માંગણી કરતા જણાવ્યું હતું કે, અગાઉ જે રીતે આવાસ યોજના માટે કેન્દ્ર સરકાર અને સ્થાનિક સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ફંડફાળવવામાં આવતું હતું તે મુજબ જ પૂરા રૂા.3.60 લાખ આપવામાં આવે. અત્રે નોંધનીય છે કે, નરોલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં કોઈપણ પ્રશાસસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત નહીં રહેતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ અવસરે ગણ્યાંગાંઠયા જિલ્લા પ્રશાસનના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિતિ વચ્ચે ગ્રામસભા સંપન્ન થઈ હતી.