દમણમાં ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારમાં શિબિરનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.14: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના ગ્રામીણ વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સંપન્ન થઈ અને શહેરી વિસ્તારમાં શુભારંભ થયો છે. દમણમાં ત્રણ દિવસ સુધી આ રથ અનેક વિસ્તારમાં ભ્રમણ કરશે અને લોકોને કેન્દ્રની મોદી સરકારની વિવિધ યોજનાઓ વિશે જાગરૂક કરશે. આજે નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’રથનું સ્વાગત નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, ચીફ ઓફિસર શ્રી સંજામ સિંહ, ન.પા. ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિ હળપતિ સહિત અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયાએ લોકોને વિકાસ કાર્ય અને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.
કાર્યક્રમમાં દમણ બાલભવનના બાળકો દ્વારા ‘ધરતી કરે પુકાર’નું નાટક રજૂ કરવામાં આવ્યું. શાળાના બાળકો દ્વારા સાંસ્કળતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વર્ષ 2047 સુધીમાં ભારત દેશને વિકસિત બનવા માટે ઉપસ્થિત તમામ લોકોએ શપથ લીધા હતા. દમણ ન.પા.ના વોર્ડ નંબર 7ના કાઉન્સિલર શ્રી અસ્પીદમણિયા અને વોર્ડ નં.6ના કાઉન્સિલર શ્રી ચંડોક જસવિન્દરને ‘હર ઘર નલ’ યોજના અને ઓડીએફ પ્લસ બદલ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થી શ્રીમતી તારાબેન હળપતિએ પી.એમ. સ્વનિધિના લાભ, શ્રીમતી પાર્વતી હળપતિએ પી.એમ. આવાસ યોજના વિશે તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.
ચિત્ર અને ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અનેક યોજનાઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં યોજનાઓના લાભ અને માહિતી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દમણના સીટી વિસ્તાર ધાકલીની વાડી, કુંભારવાડ, તીન બત્તી, એકતા ઉદ્યાન, માછીવાડની વિવિધ શેરીઓમાં ફરી હતી અને નુક્કડ નાટકથી લોકોમાં પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓ વિશે લોકોમાં જાગરૂકતા લાવવામાં આવી હતી.