વિશ્વ વિખ્યાત કથાકાર પૂ.શ્રી પ્રફુલભાઈ શુક્લ તેમની ભાવવાહી રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29: સંઘપ્રદેશ દમણ-દીવના લોકલાડીલા પૂર્વ સાંસદ અને કોળી પટેલ સમાજના મોભી એવા સ્વ. ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલના સ્મારણાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ-દીવના પૂર્વ સાંસદ અને કોળી પટેલ સમાજના અગ્રણી એવા સ્વ. ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલના સ્મરણાર્થે સમાજના અગ્રણીઓ દ્વારા આગામી તા.03 જાન્યુઆરી, 2024થી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું આયોજન શ્રી સોમનાથ ભવન, ભેંસરોડ ખાતેની શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડીમાં કરવામાં આવ્યું છે. કથાનું રસપાન વિશ્વ વિખ્યાત કથાકાર પૂ. શ્રી પ્રફુલભાઈ શુક્લ તેમની મધુર વાણી દ્વારા કરાવશે. કથાકાર પૂ. શ્રી પ્રફુલભાઈ શુક્લની આ 859મી ભાગવત કથા હોવાની માહિતી આપવામાં આવી છે.
શ્રીમદ્ ભાગવત કથાના આયોજન તથા તેના સુચાર પ્રચાર-પ્રસાર હેતુ આયોજકો દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં માહિતીઆપતાં મુખ્ય યજમાન શ્રી જીજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા પિતાશ્રી સ્વ. ડાહ્યાભાઈ પટેલ અને આપણાં દમણ અને દીવના સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે યોજાઈ રહેલી ભાગવત કથાના શુભારંભ પહેલાં ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવશે. જે ગોત્રેજ માતા મંદિર ભેંસરોડથી નીકળશે. જેમાં અન્ય 21 જગ્યાએથી આવેલ પોથીયાત્રા પણ જોડાશે અને ભેંસરોડ ખાતે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડીમાં પહોંચશે.
કથાનો સમય દરરોજ બપોરે 2:30 થી સાંજે 5:30 વાગ્યા સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે.
કથાના યજમાન શ્રી જીજ્ઞેશભાઈ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લગભગ 10 વર્ષ પછી પૂ. શ્રી પ્રફુલભાઈ શુક્લ આપણાં દમણમાં ભાગવત કથાના રસપાન માટે પધારી રહ્યા છે. તેથી સમગ્ર દમણમાં આયોજકો સહિત સમાજ અને ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ પ્રસંગે કથાકાર પૂ. શ્રી પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું હતું કે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા આયોજીત આ ભાગવત કથા પિતૃઓને શાંતિ આપનારી અને મોક્ષ પ્રદાયિની છે.
આ અવસરે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી જીજ્ઞેશ ડાહ્યાભાઈ પટેલ અને મીડિયા પ્રભારી શ્રી ઉપેન્દ્ર પટેલ, શ્રી અમ્રતભાઈ પટેલ (દાભેલ), શ્રી મહેશ કિકુભાઈપટેલ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે કથાનું સૌ ભાવિક ભક્તોને કથાનું શ્રવણ કરવા શ્રીમદ્ ભાગવત કથા સ્થળે ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે.