સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને કુશળ નેતૃત્વમાં પ્રદેશના નાના અને સીમાંત ખેડૂતોના લાભ માટેનો માસ્ટર સ્ટ્રોક
સંઘપ્રદેશના તમામ જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં વધારો કરવા, રોજગારીના સર્જન અને ગીર ગાય ડેરી વિકાસ ગતિવિધિ માટે ‘‘ગૌ લીલા” યોજનાની કરાયેલી નવતર પહેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને કુશળ નેતૃત્વ હેઠળ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સામાજિક આર્થિક વિકાસમાં ભાગીદાર બનવાના પ્રયાસરૂપે દમણ અને દીવ સ્ટેટ સહકારી બેંકે પશુપાલન અને પશુચિકિત્સા વિભાગના સહયોગથી ગીર ગાયને પ્રોત્સાહન આપવા માટે ‘‘ગૌ લીલા (ગીર આસિસ્ટન્સ અંડર લો ઈન્ટરેસ્ટ લોન એન્ડ એડવાન્સ)” યોજના શરૂ કરી છે. આ યોજનાની નવતર પહેલ સમગ્ર દેશમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા કરવામાં આવી છે.
‘‘ગૌ લીલા” યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોના લાભ માટે પરિયોજનાના 80 ટકા સુધી એટલે કે, રૂા.2 લાખ 40 હજાર સુધી કોઈપણ પ્રકારની જામીનગીરીની સલામતીવગર વાર્ષિક 8.5 ટકાના રાહત વ્યાજદર ઉપર 4 ગાય માટે લોન આપવામાં આવશે. પ્રતિ ગાય રૂા.75 હજાર સુધીની લોન માટે કોઈપણ પ્રકારની સિક્યુરીટીની આવશ્યકતા નથી.
20 ગીર ગાયો માટે પરિયોજનાના 80 ટકા સુધી 23.53 લાખ રૂપિયા સુધી દૂધાળા પશુઓના પાલન-પોષણ ચારો વિકાસ વગેરેની આધુનિક ટેક્નિકો સાથે પાંચથી 20 ગાયોની ડેરી સ્થાપિત કરવા ઈચ્છતા દરેક લોકોને 9.50 ટકાના રાહત દરના વાર્ષિક વ્યાજ ઉપર કોમર્શિયલ ડેરી યોજના માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. બેંક આ યોજના અંતર્ગત દૂધાળી ગાય, પશુ શેડ, પાણીની ટાંકી, સ્ટોર રૂમ, સ્વયં સંચાલિત પીવાની વ્યવસ્થા, પશુચારો, ખરીજમિશ્રણ, દૂધ કાઢવાનું મશીન વિદ્યુત સંચાલિત ચારા કટર અને પશુ વીમા વગેરે પણ બેંક નાણાંકિય સહાય આપશે.
દમણ અને દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક દ્વારા આ મહત્ત્વાકાંક્ષી યોજના પશુપાલન અને પશુચિકિત્સા વિભાગની સાથે પરામર્શ અને તેમના અમૂલ્ય સૂચનો તથા માર્ગદર્શનની સાથે તૈયાર કરવામાં આવી છે. આ ડેરી વિકાસની યોજના દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકની તમામ શાખાઓના માધ્યમથી કાર્યાન્વિત કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા વ્યક્તિઓએ બેંકની શાખાઓમાં અથવા નજીકના પશુપાલન અને પશુચિકિત્સા વિભાગની સહાયતાથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવીશકશે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ‘ગૌ લીલા’ યોજનાનો ઉદ્દેશ મહિલા લાભાર્થીઓને પ્રાથમિકતા આપી નાના અને સીમાંત ખેડૂતો તથા ખેડૂત પરિવારોની આવકમાં વધારો કરવાની ક્ષમતાને વધારવાની સાથે નિયમિત રોજગારની તક પુરી પાડવાનો પણ છે.