દાનહ જિ.પં.ના પૂર્વ અધ્યક્ષ અને ડેલકર જૂથના આગેવાન રમણભાઈ કાકવાએ બાંધેલી કોંગ્રેસની કંઠીઃ એડવાન્ટેજ કોંગ્રેસ
ભાજપના નટુભાઈ પટેલના સાંસદકાળ દરમિયાન થયેલા વિકાસના અનેક કામોઃ ડેલકર પરિવારના કાર્યકાળ દરમિયાન મોટાભાગે રહેલી પ્રશાસનિક ખેંચતાણ અને પોતાના સ્વાર્થના કામોની ભરમાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : લોકસભાની દાદરા નગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના નામની જાહેરાત થતાં ધીરે ધીરે ડેલકર જૂથ અને ભાજપમાં વિરોધ સપાટી ઉપર આવી રહ્યો છે. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ સ્વ. મોહનભાઈ ડેલકરના હનુમાન ગણાતા શ્રી રમણભાઈ કાકવાએ ડેલકર જૂથ છોડી કોંગ્રેસનું દામન પકડવાની જાહેરાત કરી છે. ભાજપમાં પણ આવતા દિવસોમાં મોટો ભડકો થવાની સંભાવના પ્રગટ થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ડેલકર જૂથ છોડી કોંગ્રેસની કંઠી બાંધનારા દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણભાઈ કાકવાના જણાવ્યા પ્રમાણે પ્રદેશમાં ભાજપ અને પ્રશાસનનો વિરોધ કરી સત્તા કબ્જે કરી હતી. પૂર્વ સાંસદસ્વ. મોહનભાઈ ડેલકરની આત્મહત્યાના મુદ્દાને પણ વિસારે પાડી ફક્ત સત્તા મેળવવા અને પોતાના અંગત સ્વાર્થ માટે ભાજપની ટિકિટ લેવા માટે કરેલી ચેષ્ટા પ્રદેશના લાખો આદિવાસીઓ સાથેના વિશ્વાસઘાત તરીકે ઓળખાવી છે.
બીજી બાજુ લોકસભાની ગત પેટા ચૂંટણીમાં ભાજપને મળેલી નાલેશીભરી હાર બાદ પાયાના કાર્યકર્તાઓએ મહેનત કરી પક્ષને મજબૂત બનાવ્યા બાદ પિરસેલા તૈયાર ભાણા ઉપર બહારથી કલાબેન ડેલકરને બેસાડી દેતાં ભાજપના કાર્યકરોમાં પણ હતાશા ફેલાઈ હોવાનું દેખાઈ રહ્યું છે.
પ્રદેશ ભાજપના એક હોદ્દેદારે પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે, પ્રશાસન દ્વારા સતત થયેલા લાભાર્થી સંમેલનો અને સામાન્ય લોકોની જરૂરિયાત સંતોષવા થયેલા પ્રયાસોના કારણે ભાજપ આ બેઠક જીતી શકવાની કગાર ઉપર હતો, અને સહાનુભૂતિનું મોજું પણ ઓસરી ચુક્યુ હોવાથી આ વખતની ચૂંટણીમાં ડેલકર પરિવારનો સિક્કો કોઈપણ સંજોગોમાં નહીં ચાલે એવી સ્થિતિ હતી. લોકો પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી ખુબ જ ખુશ છે અને છેલ્લા 7-8 વર્ષ દરમિયાન દાદરા નગર હવેલીના લોકોના જીવન-ઘડતર માટે અમલમાં મુકાયેલ વિવિધ યોજનાઓના કારણે છેવાડેનો આદિવાસી પણ રાજીનો રેડ હતો.
પ્રદેશના ભાજપના પદાધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, દાદરાનગર હવેલીના ભવિષ્યને સલામત બનાવવા માટે આજપર્યંત ડેલકર પરિવારે કોઈ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી નથી. તેની સામે ભાજપના શ્રી નટુભાઈ પટેલના સાંસદકાળ દરમિયાન 2009થી 2019 સુધી અનેક વિકાસના કામો થયા છે તેનો સાક્ષી સમગ્ર પ્રદેશ છે. દાદરા નગર હવેલીમાં 2011 સુધી છોકરાઓને ભણવા માટે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની કોલેજ પણ નહીં હતી. જે નટુભાઈ પટેલના સાંસદકાળમાં શક્ય બની હતી. વર્ષોથી ડોકમરડી બ્રિજ વરસાદના પાણીમાં ડૂબી જતો હતો. રાંધા પ્રદેશથી છૂટું પડતું હતું. આવા અનેક વિકાસના કામો શ્રી નટુભાઈ પટેલના સાંસદ કાળ અને મોદી સરકારમાં શક્ય બન્યા છે.
આવતા દિવસોમાં ભાજપમાં મોટો ભડકો થવાની શક્યતા જોવાઈ રહી છે. કારણ કે, હાલમાં દાદરા નગર હવેલી ભાજપ ઉપર ડેલકર જૂથનો કબ્જો હોવાથી ઘણાં નિષ્ઠાવાન કાર્યકરોએ પક્ષના કાર્યાલયમાં જવાનું બંધ કર્યું છે.
અત્રે યાદ રહે કે, ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થવાના આડે હજુ 16 દિવસ બાકી છે. આ સોળ દિવસમાં ઘણાં ફેરા થવાની શક્યતા રાજકીય નિરીક્ષકો પણ પ્રગટ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપે શ્રીમતી કલાબેન ડેલકરને એક લાખ કરતા વધુ મતોથી ઐતિહાસિક વિજયી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેમાં કેટલી સફળતા મળે તે આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.