લોકસભા સહિતની કોઈપણ ચૂંટણીમાં જ્યાં સુધી અપક્ષ ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવે નહીં ત્યાં સુધી અપક્ષ ઉમેદવાર તરીકે માન્યતા મળતી નથી
હવે પછીના દિવસો સંઘપ્રદેશ માટે ઉત્તેજના અને રોમાંચના રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બે લોકસભા બેઠકની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જ્યારે દાદરા નગર હવેલી બેઠકમાં ભારત ટ્રાઈબલ પાર્ટીએ પણ પોતાનો ઉમેદવાર ઘોષિત કર્યો છે.
લોકસભાની દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠક માટે તા.7મી મે ના રોજ મતદાન યોજાવાનું છે અને ઉમેદવારી પત્રક ભરવાનો પ્રારંભ 12મી એપ્રિલથી થઈ રહ્યો છે. દમણ અને દીવ બેઠક માટે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાના હોવાનો દાવો શ્રી ઉમેશભાઈ પટેલ કરી રહ્યા છે. જ્યાં સુધી ચૂંટણીનું ઉમેદવારી પત્રક નહીં ભરવામાં આવે ત્યાં સુધી અપક્ષ તરીકે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારને માન્યતા મળતી નથી. પરંતુ દમણ અને દીવ બેઠક માટે શ્રી ઉમેશભાઈ પટેલ એક અપક્ષ ઉમેદવાર હોવાનું માનવામાં આવે છે અને તેમણે 2019ની ચૂંટણીમાંપણ અપક્ષ તરીકે ઝૂકાવી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ઉંઘ હરામ કરી હતી.
દાદરા નગર હવેલી બેઠક માટે ભાજપ તરફથી શ્રીમતી કલાબેન ડેલકરના નામની જાહેરાત થયા બાદ હમણાં કોંગ્રેસે પૂર્વ સાંસદ સ્વ. રામજીભાઈ માહલાના શિક્ષિત પુત્ર એવા શ્રી અજીતભાઈ માહલાના નામની ઘોષણા કરતા જંગ રસપ્રદ બનશે એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે.
દમણ અને દીવ બેઠક માટે મોટાભાગે 2019નું ચિત્ર ઉભરવાની સંભાવના છે, ભાજપ તરફથી શ્રી લાલુભાઈ પટેલને ચોથી ટર્મ માટે ઉમેદવાર બનાવાયા છે ત્યારે સતત બે ટર્મથી હારેલા શ્રી કેતનભાઈ પટેલ ઉપર કોંગ્રેસે ફરી વિશ્વાસ મુકી તેમને ટિકિટ આપી છે અને અપક્ષ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલ પણ લડવા તત્પર છે. તેથી આ વખતે પણ 2019ની માફક ત્રિપાંખિયો જંગ જામશે એવી અટકળો વ્યક્ત થઈ રહી છે.
આગામી શુક્રવારથી ઉમેદવારી પત્રક ભરવાનો પ્રારંભ થશે. તેથી હવે પછીના સપ્તાહો દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ઉત્તેજનાના રહેશે એમાં કોઈ સંદેહ નથી.